ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટ અને પ્રતિમાનું અનાવરણ

નવી દિલ્હી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે, અહીં તેમણે પ્રથમ દિવસે એન્ડિજનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે એન્ડિજન પ્રદેશના ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

વિજય રૂપાણીએ એન્ડિજન ગવર્નરના આ ઉમદા કાર્યને બિરદાવતા જણાવ્યું કે ગુજરાતમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે અને તેમના વિરાટ વ્યક્તિત્વ અને પ્રતિભાને ઉઝબેકિસ્તાને પ્રતિમાના અનાવરણ અને સરદાર પટેલ સ્ટ્રીટ નામાભિધાનથી નવી ઊંચાઈ આપી છે.

 

મહત્વનું છે કે, ઉઝબેકિસ્તાનમાં ગુજરાતની જેમ બિઝનેસ સમિટ યોજાશે. આ સમિટમાં CM રૂપાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. રૂપાણી સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ પણ પહોંચ્યું છે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી રૂપાણી સાથે વાતચીત કરશે. તેમજ વેપારને લઈને બંને વચ્ચે કરાર થશે.