મુખ્યપ્રધાન રુપાણીઃ કેન્દ્રનું વચગાળાનું બજેટ આ રીતે છે ખૂબ ખાસ..

અમદાવાદઃ નાણાંપ્રધાન પીયૂષ ગોયલે ભાજપનું અંતિમ બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાના બજેટમાં ખેડૂતો, શ્રમિક વર્ગ, વેપારીઓ, નોકરિયાતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ બજેટમાં મધ્યમ વર્ગના લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ કે આજે સંસદમાં રજૂ થયેલા બજેટ વિશેની પ્રતિક્રિયાઓ.

આજે જે બજેટ રજુ થયું છે તેને હું ગુજરાતની જનતા વતી આવકારું છું. આ બજેટ નિયત સ્પષ્ટ, નીતિ સાફ અને અટલ નિષ્ઠા સાથેનું બજેટ છે. આ બજેટમાં સમાજના દરેક વર્ગને આવરી લઈને કીડીને કણ અને હાથીને મણ એ પ્રકારની રાહત યોજનાઓ આપીને વડાપ્રધાને સાચા અર્થમાં સૌનો સાથ સૌનો વિકાસ અને નયા ભારતના નિર્માણની જે નીંવ મૂકી છે તે વાસ્તવમાં સ્થાપિત થાય છે અને આ બજેટમાં તેના સંકેતો મળે છે. દેશહિત અને રાષ્ટ્રહિત બંન્નેને સર્વોપરી રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે નાના અને સીમાંત ખેડૂતોને નિશ્ચિત આવક સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે વડાપ્રધાન કિસાન સન્માન નિધિની શરુઆત કરી છે. આ યોજના અંતર્ગત 2 હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂત પરિવારોને 6 હજાર રુપિયા પ્રતિ વર્ષના દરથી પ્રત્યક્ષ આવક સહાયત ઉપલબ્ધ કરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું કે આ સમાજના દરેક વર્ગને રાહત આપનારુ બજેટ છે. તેમણે જણાવ્યું કે ખેડૂત, મજૂર, અને મધ્યમ વર્ગને વડાપ્રધાન મોદી પાસેથી જે અપેક્ષા હતી તે આ બજેટથી પૂરી થશે.

બીજેપી અધ્યક્ષે બજેટમાં થયેલી નાનીનાની જાહેરાતોના વખાણ કરતા આને દેશના વિકાસમાં ઐતિહાસિક ગણાવ્યું. તેમણે જણાવ્યું કે 75 હજાર કરોડનો બોજ સરકારી ખજાના પર પડશે. સંગઠિત ક્ષેત્રના મજૂરો માટે બોનસ અને બોનસની પાત્રતા વધારવાનું કામ સરકારે કર્યું છે.

અમિત શાહે બજેટમાં ગાયો માટે કામધેનુ યોજનાની જાહેરાતને સંવિધાનના મૂલ્યો અને મહાત્મા ગાંધીના આદર્શો અનુસાર આગળ વધવાનો પ્રયત્ન ગણાવ્યો. ગામડાઓના ડિજિટાઈઝેશન માટે જાહેરાતને ગામના વિકાસ સાથે જોડનારું પગલું ગણાવ્યું.

રાજ્યના ડેપ્યુટી સી.એમ નીતિન પટેલે જણાવ્યું કે આ બજેટ દેશના વિકાસને ગતિ આપનારું, ગરીબો, ખેડૂતો અને શ્રમયોગીઓને અનેક રીતે મદદરુપ થનારું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈનકમ ટેક્સની આવકમર્યાદા વધારીને મધ્યમવર્ગના લાખો પરિવારોને લાભ થાય તેવું બજેટ છે.