રાજ્યના કર્મચારીઓની ગ્રેજ્યુઈટીની મર્યાદામાં સરકારે કર્યો વધારો

ગાંધીનગર- રાજ્યના કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે, કર્મચારીઓ માટે ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત સરકારી અધિકારી/કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર થશે.

પેન્શન અને ગ્રેજ્યુઇટી એક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરી રૂપિયા ૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પણ કર્મચારીલક્ષી નિર્ણય લઇ અધિકારી/કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરી રૂ.૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવાનો નિર્ણય અગાઉ કરેલ છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે ગુજરાત આદ્યોગિક વિકાસ નિગમ લી., અને ગુજરાત ઉર્જા વિકાસ એન્જસી (જેડા) દ્વારા મળેલી દરખાસ્તને મંજૂરી આપી જીઆઇડીસી અને જેડાના કર્મચારી/અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદાના બદલે રૂ.૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત આદ્યોગિક વિકાસ નિગમ લી. ને આશરે રૂ.૧૦ કરોડનું નાણાકીય ભારણ તથા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને રૂ.૮૨ લાખનું નાણાકીય ભારણ થશે. રાજ્યના અન્ય નિગમો/બોર્ડ/કોર્પોરેશનોના અધિકારી/કર્મચારીઓના કિસ્સામાં પણ રૂ.૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવા તબક્કાવાર રાજ્ય સરકાર દ્ધારા નિર્ણય કરવામાં આવનાર છે.