સિંહદર્શનમાં આ વર્ષે મળી નવી સાઈટ, જીપ્સીમાં બેસી થઈ શકશે સિંહદર્શન

જુનાગઢ : ગિરનારના કુદરતી સૌંદર્યને માણવા દર વર્ષે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે હવે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ સિંહ દર્શનનો લહાવો મળશે. વન મંત્રાલય દ્વારા ગિરનાર જંગલમાં આગામી ૧પમી ઓકટોબરથી સિંહદર્શન માટે વધુ એક સ્થળ ખુલ્લુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીરનાર જંગલમાં હાલ ૩૮ થી વધુ સિંહનો વસવાટ છે.

સિંહ પ્રેમીઓ માટે અત્યાર સુધીમાં સાસણ ગીરમાં સિંહ દર્શન કરાવવામાં આવતું હતું, હવે ગીરનારના જંગલમાં પણ સિંહના દર્શન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવતા, બે જગ્યા પર દર્શન કરવાનો પ્રવાસીઓને લાભ મળશે. સાસણ ગીરની જેમ જ જીપ્સીમાં બેસીને સિંહ દર્શનની મજા માણી શકાશે. ગીરનારની ઉત્તર રેન્જમાં ઈન્દ્રેશ્વરથી પાતૂરણ વિસ્તારમાં સિંહ દર્શન કરાવવામાં આવશે.

સાસણ ગીરની જેમ હવે આગામી 15મી ઓક્ટોબરથી ગિરનારના જંગલમાં પણ  સિંહ દર્શન કરવા મળશે, એટલે કે સિંહ પ્રેમીઓને હવે બે જગ્યા પર સિંહ દર્શન કરવાનો લાભ મળશે.ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ સિંહદર્શન માટે ગીરમાં ઉમટી પડશે, ત્યારે સરકારના આ નિર્ણયથી પ્રવાસીઓનો ઉત્સાહ અને ઉમંગ બેવડાયો છે.