અમદાવાદના આ રસ્તા પર છે રેડ સિગ્નલ, માર્ગ પર અનોખો મેસેજ

અમદાવાદઃ ગુજરાતના તમામ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યાં છે. ગામડાંઓનું ઝડપભેર શહેરીકરણ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરનો પણ તમામ બાજુએ વિકાસ થયો છે. વાહનવ્યવહાર વધ્યો, માર્ગો મોટા થયાં, પરંતુ આ વાહન વ્યવહારની શિસ્તમાં ઘણાં વિસ્તારોમાં લોકો ઉણાં ઉતરી રહ્યા હોય એવું જણાય છે. પૂર્વ અને પશ્ચિમ બંને તરફના અમદાવાદના કેટલાક વિસ્તારો સતત ટ્રાફિકથી ધમધમતાં રહે છે.

પશ્ચિમ વિસ્તારનો સરખેજ-ગાંધીનગરને જોડતો એસ.જી.હાઇવે સતત વિકસતો અને વ્યસ્ત માર્ગ છે. કેટલીક મોટી કંપનીઓ, હોસ્પિટલો, વિદ્યા સંસ્થાનો, અને ધાર્મિક સ્થાનો આ માર્ગ પર આવેલા છે. વાહન વ્યવહારથી વ્યસ્ત આ વિસ્તારમાં અકસ્માતો અને ગુનાખોરીનો સતત વધારો થતો જણાય છે. હાઇટેક માર્ગો-અંડરબ્રિજ-ઓવરબ્રિજ, સર્વિસ રોડની  કલ્પના અને અમલીકરણ પછી પણ શટલીયા પેસેન્જર માટે વલખાં મારતાં નજરે પડે છે. બ્રિજના છેડે, ઓવરબ્રિજ-અંડરબ્રિજની વચ્ચો વચ પેસેન્જર ભરવાનું અને ઉતારવાનું ચાલુ જ છે. ત્યારે થલતેજ થી સાયન્સસિટી-હાઇકોર્ટ તરફ જતો ઓવર બ્રિજ એક સાથે થતાં ગાડીઓના અકસ્માત માટે જાણીતો છે.

સૌથી મહત્વની વાત એ છે કે થલતેજથી સાયન્સ સિટી તરફ જતા ઓવરબ્રિજના માર્ગ પર વન-વે  હોવા છતાં ઘણાં વાહન ચાલકો સાયન્સ સિટી તરફથી સીધા જ શોર્ટ કટમાં એસ.જી.હાઇવેના બ્રિજ પર ચઢવાનો પ્રયત્ન કરતાં જોવા મળે છે. વન વે વાળા આ માર્ગ પર કેટલાક ઉતાવળા, અણસમજુ વાહનચાલકોના કારણે,  નિર્દોષ વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે.

એક ખાનગી સંસ્થા દ્વારા અકસ્માતો રોકાય અને સૌથી વિકસિત પોશ વિસ્તારમાં અકસ્માતો ઓછા થાય જાનહાની ટળે એ હેતુ થી રોડ પર  ભયજનક સૂચના મુકવામાં આવી છે. કારણ હાઇવે પરથી સાયન્સ સિટી તરફ અતિ વેગ થી આવતા વાહનો સામે રોંગ સાઇડે જવું એટલે લગભગ કોઇપણ જીવ માટે મોત..સમાન અને જીવન..પૂર્ણ વિરામ.. થઇ જાય…..

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)