અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે કેબિનેટની બેઠકમાં નિર્ણયો, પંજાબથી લાવશે પરાળ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત સહાય અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કેબિનેટ બેઠકમાં કરાયેલા આયોજન-નિર્ણયોની વિગતો આપતા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર સરકાર અછતની સ્થિતી પ્રત્યે અતિસંવેદનશીલ છે. આ સંદર્ભમાં રાજ્ય પ્રધાનમંડળે મૂંગા અબોલ પશુધન માટે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો, પાણી તેમજ નરેગા અન્વયે રોજગારી નિર્માણ માટે નક્કર નિર્ણયો કર્યા છે.

કૌશિક પટેલે વધુમાં કહ્યું કે, રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલોગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પ કરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે. પંજાબ રાજ્યમાંથી લાવીને ઘઉંની પરાળનો અછતગ્રસ્ત વિસ્તારના પશુધન માટે ઘાસચારા તરીકે ઉપયોગ કરી શકવાની સંભાવનાઓ-સર્વેક્ષણ માટે આવતીકાલે રાજ્યપ્રધાન વાસણ આહિરના નેતૃત્વમાં એક ટીમ પંજાબ જશે.મહેસૂલ પ્રધાને રાજ્ય સરકારના અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું કે, રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે તેવા વિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસ કિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવશે.

રાજ્યના પ૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરેલા છે. તાજેતરમાં ઓછા વરસાદ ધરાવતા અને પાક નિષ્ફળ જવાની રજૂઆતોને પગલે ૪પ તાલુકાઓ માટે ખાસ રાહત પેકેજ જાહેર કર્યુ છે. આગામી ૧ ડિસેમ્બરથી આ સમગ્ર ૯૬ તાલુકાઓમાં સહાયની શરૂઆત કરાશે.

તેમણે ઉમેર્યુ કે, અછતના સમયમાં ૧૦૦ દિવસની રોજગારી નરેગા યોજના અન્વયે અપાય છે પરંતુ આ વર્ષે અછતની આ વિશેષ સ્થિતીને ધ્યાને લઇને ૧પ૦ દિવસ રોજગારી અપાશે. એટલું જ નહીં, તાલુકાઓમાં જેટલા પ્રમાણમાં રોજગારીની માગ થાય તેને પણ પહોંચી વળવા અન્ય કામોમાંથી પણ ઉપલબ્ધતા આયોજન કરાશે.

મહેસૂલપ્રધાને સ્પષ્ટપણે કહ્યું કે, આવનારા દિવસોમાં પીવાનું, સિંચાઇ માટેનું અને પશુધનને પાણી પૂરતું મળી રહે તેવું સઘન આયોજન રાજ્ય સરકાર કરશે. મોટર મૂકીને કે અન્ય રીતે પાણીના ગેરકાયદે વપરાશ કરનારાઓ સામે સખ્ત કાયદેસરની કાર્યવાહી સરકાર સ્તરેથી કરવા પણ આદેશો અપાયા છે.

કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

  • પશુધન માટે વધારાના ૭ કરોડ કિ.ગ્રામ ઘાસચારાનું આયોજન કરાશે
  • કુલ ૧ર કરોડ કિલોગ્રામ ઘાસનું આયોજન
  • રાજ્યપ્રધાન વાસણ આહિરના નેતૃત્વમાં ટીમ પંજાબ જશે-પશુ ઘાસચારા માટે પંજાબથી ઘઉંની પરાળ લાવવાની સંભાવનાઓનું સર્વેક્ષણ કરશે
  • રાજ્યમાં જ્યાં પાણી ઉપલબ્ધ છે ત્યાંના ખેડૂતો ઘાસ ઉગાડવા આગળ આવે તેમને ખાસ કિસ્સામાં વીજ કનેકશન રાજ્ય સરકાર આપશે
  • ૧લી ડિસેમ્બરથી અછતગ્રસ્ત પ૬ તાલુકા સહિત ઓછો વરસાદ ધરાવતા અને ખાસ પેકેજ જાહેર થયેલા ૪પ મળી ૯૬ તાલુકામાં સહાય અપાશે
  • મનરેગામાં ૧પ૦ દિવસની રોજગારી
  • પીવાના-સિંચાઇના-પશુધન માટેના પાણીનું આગવું આયોજન કરાશે