શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા યુકે માં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના 150માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરતાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા માન્ચેસ્ટર, યુ.કેમાં  માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર ગાંધીજીની 9 ફુટ ઊંચી, 800 કિલો વજન ધરાવતી સુંદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક રાકેશભાઈની ઉપસ્થિતીમાં સંપન્ન થયો હતો. આ  પ્રસંગે ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ, માન્ચેસ્ટર સીટી કાઉન્સિલના લીડર સર રિચર્ડ લીઝ, ડો. ડેવિડ વોકર, માન્ચેસ્ટરના બિશપ, ભારત સરકારના સીનિયર અધિકારીઓ, હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધીઓ અને અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના સંત શ્રીમદ્ રાજચંદ્રજી મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક હતા. ગાંધીજીએ તેમની આત્મકથા સહિત અનેક જગ્યાએ લખ્યું છે કે શ્રીમદ્જીનો તેમના પર ગહન પ્રભાવ હતો. સત્ય, કરુણા, અને અહિંસા જેવા અનેક સિદ્ધાંતો અને ગુણો તેમણે શ્રીમદજી પાસેથી ગ્રહણ કર્યા હતા જે આગળ જઈને ગાંધીવાદના મૂળભૂત પાયા બન્યા.