20 વર્ષે કેસ ઉખળ્યો ને પૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડ થઈ

અમદાવાદ- પૂર્વઆઈપીએસ સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે. લગભગ 20 વર્ષ જૂના એક કેસમાં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી લીધી છે. તેમની સાથે તત્કાલીન પીઆઈ આઈબી વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી છે.સીઆઈડી ક્રાઈમ પોલિસ મહાનિર્દેશક અજય તોમરે આપેલી માહિતી પ્રમાણે 1998માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્ઝનો ખોટો કેસ કરવાના ગુનામાં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સીઆઈડી ક્રાઈમને આ કેસની તપાસ કરી ત્રણ માસમાં રીપોર્ટ સોંપવાનું પણ જણાવાયું છે. સંજીવ ભટ્ટની સંડોવણીવાળા આ કેસમાં રીટાયર્ડ જસ્ટિસ આર આર જૈન અને બનાસકાઠા પોલિસ વિરુદ્ધ આરોપો કરવામાં આવ્યાં હતાં.

ઘટનાની ટૂંકી વિગત જોઇએ તો રાજસ્થાન પાલીના વતની વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની પાલનપુરની એક હોટેલમાંથી એk કિલો અફીણ મળવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જે ઓળખપરેડમાં સાબિત થયું ન હતું. ત્યારે વકીલે આરોપ મૂક્યો હતો કે જસ્ટિસ જૈનની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલિસે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદની રાજસ્થાન પોલિસની તપાસમાં  જસ્ટિસ જૈન, તત્કાલીન એસપી સંજીવ ભટ્ટ અને અન્યોના કોલ રેકોર્ડની તાપસમાં વકીલના આરોપો પ્રમાણિત કરતાં પુરાવા મળ્યાં હતાં.,