ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ 10 ઘર સુધી પહોંચી, 60 લોકોને બચાવાયાં

નવસારીઃ નવસારી જિલ્લાના ભટ્ટઇ ગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં અફડાતફડી મચી હતી.બપોરે અચાનક ફાટી નીકળેલી આગ ભંગારના ગોડાઉનની આસપાસના કાચા ઘર સુધી ફેલાતાં પરિસ્થિતિ વણસે તેવો ભય હતો. આગની જાણ થતાં ઘટનાસ્થળે ધસી આવેલ ફાયર વિભાગની 8 ટેન્કરોએ પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાની કામગીરી શરુ કરી દીધી હતી.જોકે આગનું વિકરાળ સ્વરુપ હોતાં જિલ્લા મથકેથી વધુ ફાયર ટેન્કર ગાડીઓ મોકલવાની તજવીજ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યાં પ્રમાણે ગોડાઉનની આસપાસના 10 ઘરો સુધી આગ પહોંચી ગઇ હતી. જ્યાં ત્રીસથી વધુ કાચાં ઘર છે. આગને લઇને જાનહાનિ ટાળવા ઝડપી કાર્યવાહી કરાતાં લગભગ 60 લોકોને તંત્ર દ્વારા તરત જ બહાર કાઢી અન્યત્ર ખસેડવામાં આવ્યાં હતાં. ભરબપોરે જ્યાં એકતરફ હીટવેવમાં શેકાઇ રહ્યાં હતાં ત્યાં આગની ભારે ગરમીથી આસપાસના વિસ્તારમાં કફોડી હાલત સર્જાઇ ગઇ હતી.