ગુજરાત આ કારણે છે દેશનું રોલમોડલ, દેવાના વ્યાજનો અંદાજ ઘટ્યો છેઃ નાયબ સીએમ

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણાંપ્રધાન નિતીન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે કયાં કયાં કારણોસર ગુજરાત દેશનું રોલમોડેલ છે. રાજ્ય સરકારના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત પાલન થકી ગુજરાતની વિકાસયાત્રા હાથ ધરી છે જેના પરિણામે છેલ્લાં ૧૫ વર્ષથી એકપણવાર રાજ્ય સરકારે ઓવરડ્રાફ્ટ કે સાધનપાય પેશગી લીધી નથી. જે માત્રને માત્ર રાજ્ય સરકારની દીર્ધદ્રષ્ટિ, સમયબદ્ધ આયોજન અને ટીમ ગુજરાતના સૌ સભ્યોને પરિણામે શક્ય બન્યું છે. આ કારણથી જ છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાત દેશનું રોલ મોડેલ પુરવાર થઇ રહ્યું છે.

વિધાનસભામાં આજે નાણાં વિભાગની રૂ.૫૮૦૭૪ ની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, આ વર્ષનું અંદાજપત્ર રૂ.૨,૦૪,૮૧૫ કરોડનું છે તેમાં ૨૮૫ કરોડની એકંદર પુરાંત તથા રૂ.૨૮૭૪ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવાઇ છે જેમાં વિકાસલક્ષી ખર્ચ ૫૫ % ની ફાળવણી માત્ર સામાજિક સેવાઓ માટે કરાઇ છે. રાજ્યનું દેવુ નિયમાનુસારની મર્યાદામાં રહેવા પામ્યુ છે. રાજ્ય સરકારની નીતિના પરિણામે જી.એસ.ડી.પી.ની સાપેક્ષમાં દેવાનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું રહ્યું છે. રાજ્ય સરકારે દેવાની ચૂકવણીમાં ક્યારેય ચૂક કરી નથી. રાજ્ય સરકારના નાણાકીય શિસ્તના પરિણામે દેવુ, રાજ્યનું એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન તથા જાહેર દેવા પર વ્યાજની ચુકવણી સામે મહેસૂલી આવકનું પ્રમાણ સારી રીતે જળવાઇ રહ્યું છે. મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૬.૮૨ % જેટલુ ઉંચુ હતું તે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨.૬૨ % જેટલુ નીચુ અંદાજવામાં આવ્યું છે રાજ્યનું દેવુ વર્ષ ૨૦૦૪-૦૫ માં ૨૮.૪૫ % હતુ તે ઘટીને આ વર્ષે વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૫.૬૯ % જેટલુ અંદાજવામાં આવ્યુ છે.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, રાજ્ય સરકારે પારદર્શિતાથી અનેકવિધ નિર્ણયો કર્યા છે અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ટેકનોલોજીના માધ્યમ દ્વારા લાભાર્થીઓને સીધેસીધા મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. રાજ્ય સરકારના ૧૪ જેટલા વિભાગોની ૨૫૫ થી વધુ યોજનાઓ ડી.બી. પોર્ટલ પર મુકાઇ છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૩ કરોડથી વધુ લાભાર્થીઓને રૂ.૫૫૯૧ કરોડથી વધુ રકમ તેમના બેંકના ખાતામાં ડી.બી.ટી. થી જમા કરી દેવાઇ છે. જેના લીધે રૂ.૧૦૮ કરોડની બચત થઇ છે. કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં અટલ પેન્શન યોજના હેઠળ ૬,૭૯,૦૫૪, પ્રધાનમંત્રી સુરક્ષા યોજનામાં ૬૧,૦૫,૦૩૬, પ્રધાનમંત્રી જીવન જ્યોતી વિમા યોજનામાં ૨૫,૬૫,૪૩૨ લાભાર્થીઓની નોંધણી કરી દેવાઇ છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ૧,૩૭,૩૧,૧૮૧ ખાતા ખોલીને રૂ.૪૧૭૪ કરોડની રકમ જમા કરાઇ છે.

નીતિન પટેલે જણાવ્યું કે જી.એસ.ટીના કાયદાના અમલ બાદ નોંધાયેલ કરદાતાઓ પૈકી સરેરાશ ૯૧ % જેટલા કરદાતાઓએ રીટર્ન ભર્યુ છે, જેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ૧.૪૦ કરોડ રીટર્ન ફાઇલ થયું છે. રાજ્ય સરકારે તા.૦૫.૧૦.૨૦૧૮ પેટ્રોલ, ડીઝલમાં વેટના ટેક્ષ દર ૨૦ % હતો તેમાં ૩ % ઘટાડો કરીને ૧૭ % ટેક્ષ કરાયો છે. એ નાના વેપારીઓ માટે પણ રજીસ્ટ્રેશનની ટર્નઓવરની મર્યાદા ૨૦ લાખથી વધારી ૪૦ લાખ કરાઇ છે.

એ જ રીતે રાજ્યમાં ૬.૭૮ કરોડ ઇ-વે બીલ જનરેટ કરાયા છે. અને આંતરરાષ્ટ્રીય ઇ-વે બીલ જનરેશનમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જી.એસ.ટી. દ્વારા અન્વેષણ કામગીરી સંદર્ભે બોગસ બીલીંગ દ્વારા થતી વેરા શાખની ગેરકાયદેસર તબદીલીના અનેક કેસો શોધીને રૂ.૪૦૮૭ કરોડના ખોટા વ્યવહારો સંદર્ભે આજ સુધી ૨૬ વ્યક્તિઓની ધરપકડ કરી છે. મોબાઇલ સ્ક્વોડ દ્વારા પણ ૩૩,૮૬,૦૦૦ ઇ-વે બીલની ચકાસણી કરાઇ છે.

તેમણે ઉમેર્યુ કે, તમામ જિલ્લા તિજોરી કચેરીઓ દ્વારા ઓનલાઇન ઇ-પેમેન્ટથી ચૂકવણું થાય છે. રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓના પગાર અને પેન્શન પેટે પ્રતિમાસ રૂ.૪૦૦૦ કરોડથી વધુ રકમની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્યના ૪.૫ લાખ પેન્શનરોને પણ રૂ.૧૭૫૫૮ કરોડ પેન્શનના લાભો ચુકવી દેવાયા છે. પેન્શનરો ઘરે બેઠા જીવનપ્રાણ પોર્ટલ પર હયાતીની ખરાઇ કરી શકે છે. રાજ્યના ૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ-ગણવેશ સહાયની ચુકવણી સીધી તેમના ખાતામાં જમા કરાવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે જોડી દેવાયા છે. એ જ રીતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઓડીટ પણ રાજ્યની લોકલ ફંડની કચેરીઓ દ્વારા સમયાનુસાર કરવામાં આવે છે. વીમા કચેરીઓ દ્વારા ગુજરાત સામૂહિક જુથ અકસ્માત વીમા યોજના હેઠળ ૪ કરોડથી પણ વધુ લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેનુ તમામ પ્રીમીયમ રાજ્ય સરકાર ભરે છે. ખેડૂત ખાતેદારોને પણ મૃત્યુ વીમા સહાય રૂ.૨ લાખ કરી છે, જે હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં ૨૩૭ કેસોમાં રૂ.૩.૫૯ કરોડની સહાય ચુકવી દેવાઇ છે.

વિધાનસભામાં સાથેસાથે…

  • મહેસૂલપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગૃહમાં માહિતી આપી કે પાટણ જિલ્લામાં ગણોતધારા હેઠળની તા. ૩૧-૦૩-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ખેડૂતોની ‘ગણોતધારા’ હેઠળની જમીનની ખરીદ કિંમત ભરાયેલી હોય તેવા કેસોની સંખ્યા આશરે ૨૫૦ જેટલી છે.
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, ખેડૂતોના હક્કને લગતા મહત્વના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. જે સંદર્ભે જામનગર જિલ્લામાં ૪૬૧૨ હક્કપત્રક નોંધોનો નિકાલ કરાયો છે. વિધાનસભા ખાતે બાકી હક્કપત્રક નોંધના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેતીમાં બિનખેતીની પરવાનગી સમયે અગાઉ રજિસ્ટર્ડ દસ્તાવેજની જરૂર હતી એ પ્રથા અત્યારે બંધ કરાઇ છે. એ જ રીતે અગાઉના સમયમાં જમીનો પરિવારમાં લાગણીના સંબંધે મોટા ભાઇના નામે હતી તે સમયે તેમના નાના ભાઈ બહેનોને લાભ મળતો ન હતો. તેમાં પણ હવેથી બહેનો-નાનાભાઈની હક્કપત્રકમાં નોંધ કરવામાં આવે છે જેથી કરીને તેઓને પણ લાભ મળી શકે.
  • શ્રમ રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે કે, ખેતરમાં કામ કરતા ખેત મજૂરોને રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ વીમા અકસ્માત યોજના હેઠળ અકસ્માતે મૃત્યુ પામનાર ખેત મજૂરને રૂ.૧ લાખની સહાય ચુકવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં પાટણ, તાપી, સુરેન્દ્રનગર, અને નવસારી જિલ્લામાં ૬૦ ખેત મજૂરોના અકસ્માતે મોત થયાં છે, તેઓને રૂપિયા ૬૦ લાખની સહાય ચૂકવી દેવાઇ છે.
  • શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, ગેરકાયદે દબાણો સંદર્ભે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બાયસેગ દ્વારા સેટેલાઈટ સિસ્ટમ વિકસાવી ગેરકાયદેસર દબાણોની માહિતી તરત જ મળે તે માટેની સિસ્ટમ વિકસાવવામાં આવી છે. વડોદરા અને આણંદ જિલ્લામાં સરકારી ખરાબા પડતરની જમીનો પરના દબાણ દૂર કરવા અંગેની માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ૨૧ ગામો અને વડોદરા જિલ્લામાં સાત ગામોમાં ગેરકાયદે દબાણો  આવતા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમોનુસારની કાર્યવાહી કરી ઝડપથી દૂર થાય તે માટે કાર્યવાહી ચાલુ છે.
  • સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ‘‘સંકટમોચન યોજના’’ અંતર્ગત મળેલ ૩૨૬ અરજીઓમાંથી ૩૧૭ અરજીઓનો નિકાલ કરી નોંધપાત્ર કામગીરી કરાઇ.
  • સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન ગાંધીનગર જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વિકસતી જાતિના ૫૧૧ લાભાર્થીઓને મકાન માટે રૂપિયા ૨૬૦.૮૦ લાખની મદદ કરવામાં આવી.