બે ટ્રક ભરીને મોરપીંછ મળી આવ્યાં, હજારોની સંખ્યામાં મોરના મોતની શંકા

અમદાવાદ- શહેરમાં વધી રહેલા કાર્યકલાપોમાં કેટલાક લોકો ગેરકાયદે કામો પણ કરી રહ્યાં છે જે ગુનાની કક્ષાના છે. નારોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બે ટ્રક ભરીને મોરના પીંછા મળી આવ્યાં છે, જે સમાચાર વાયુવેગે ફેલાતાં ચકચાર મચી ગઇ છે.
મોર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે તેનો શિકાર કરવો તે ગુનો બને છે, ત્યારે આજે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બે ટ્રક ભરીને મોરના પીંછા મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે નારોલ વિસ્તારમાં આવેલા મોતીપુરા પ્રભાત નગર સોસાયટીમના એક મકાનમાં મોરના પીંછા રાખવામાં આવ્યા છે. બાતમીને આધારે ફોરેસ્ટ વિભાગની ટીમે દરોડા પડ્યા હતા, જેમાં એક મકાનમાંથી મોરના પીંછા મળી આવ્યા છે.બે રૂમમાં એટલાં બધાં મોરના પીંછા મળ્યાં હતાં કે આ મુદ્દામાલને ફોરેસ્ટ વિભાગની ઓફિસમાં લઈ જવા માટે બે ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત આટલાં મોટા પ્રમાણમાં મોરના પીંછા મળી આવતાં તંત્ર ચોકી ઉઠ્યું છે. પાંચ દિવસ પહેલા વનવિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. એક અંદાજ પ્રમાણે હજારોની સંખ્યામાં મોરના મોત થયાં હોઈ શકે છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં મોરપીંછા મળી આવ્યાં છે.