પાનમ કેનાલમાંથી હવે આ બે જિલ્લાના 58 તળાવો ભરાશે…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પંચમહાલ અને મહિસાગર જિલ્લાના આદિજાતિ ગામો અને વિસ્તારના ધરતીપુત્રોને સરળતાથી સિંચાઈથી પાણી પુરુ પાડવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પાનમ સિંચાઇ યોજનાના વધારાના પાણીથી પાનમ હાઇલેવલ કેનાલમાંથી પાઇપલાઇન અને ઉદવહન દ્વારા આ બે જિલ્લાના ૩૮ ગામોના પ૩ તળાવો ભરવામાં આવશે.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર રૂ. ૨૧૬ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આ સિંચાઇ યોજનાના પિયત વિસ્તારની ભૌગોલિક સ્થિતી અને નાના-સિમાંત ખેડૂતો આર્થિક સક્ષમ ન હોવાથી સરેરાશ ૧૦ થી ૧પ મીટર જેટલું પાણી ઉદવહન કરીને લઇ જઇ શકતા નથી. ઉપરાંત આ વિસ્તાર અવાહક અને ખડકાળ હોવાથી અહિં સિંચાઇ માટે પાણી પુરૂં પાડવું એ પડકાર રૂપ છે. મુખ્યમંત્રીએ આ ધરતીપુત્રોની સમસ્યાના સંવેદનાસ્પર્શી સુચારૂ ઉકેલ રૂપે રૂ. ૨૧૬ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

આ યોજના અંતર્ગત પંચમહાલ અને મહિસાગરના ૩૮ ગામોના ૫૩ તળાવો ૮૬.પ કિ.મીટર જેટલા પાઇપલાઇન નેટવર્કથી જોડીને ૬ જેટલા જુદા જુદા સ્થાનો પરથી પાણી ઉદવહન (લીફટ) કરીને ભરવાનું આયોજન છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ૧૦ હજાર હેકટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ પંચમહાલ – મહિસાગર એમ બે જિલ્લાના ૩૮ ગામોના અંદાજે ૧૧ હજાર ખેડૂતો તથા ૪પ હજાર ગ્રામીણ વસ્તીને સિંચાઇનો લાભ મળશે.

ધરતીપુત્રો ખરીફ અને રવિ ઋતુમાં પણ પાક લઇ શકશે. ધરતીપુત્રોનું જીવન ધોરણ ઊંચુ આવશે. રોજગારી પણ વધશે અને માનવ તથા પશુજીવોને પીવાના પાણીનો લાભ મળતો થશે. એટલું જ નહિ, ૬ પમ્પીંગ સ્ટેશન પરથી ૧૦ કયુસેકથી ૬૦ કયુસેકની વહન શકિતવાળી ૮ પાઇપલાઇન દ્વારા ૧૩ મીટર થી ૨૬ મીટર સુધીની ઊંચાઇ માટે પાણી ઊચકવા ૧ર૦ કિ.વોટથી ૬૦૦ કિ.વોટ વીજળી પ્રવાહનો ઉપયોગ આ પ૩ તળાવો ભરવા થશે.