જીરુનો પાક નિષ્ફળ જતા ખેડુતે કરી આત્મહત્યા, ગ્રામજનોમાં શોક

રાજકોટઃ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટા રામપર ગામે એક ખેડુતે આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે. 51 વર્ષીય ખેડૂત સવજીભાઈ ભોજાણીએ જીરુનો પાક વાવ્યો હતો પરંતુ પાક નિષ્ફળ જતા તેઓ ભયંકર રીતે આર્થિક ભીંસમાં આવી ગયા હતા. આખરે પરીસ્થિતીથી કંટાળીને તેઓએ કેરોસીન છાંટી અગ્નીસ્નાન કરી લીધું હતું.

ત્યારબાદ તેમને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને બચાવી ન શકાયા અને તેમનું મૃત્યું થયું છે. સવજીભાઈએ આત્મહત્યા કરી લેતા આખા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સવજીભાઇની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે ઘરમાં તેમના અંતિમસંસ્કાર કરી શકાય તેટલા પણ પૈસા નહોતા. આથી ગ્રામજનો અને પરિવારજનોએ અંતિમવિધિ માટે પૈસા એકત્ર કરી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા તેવું ગ્રામજનોમાંથી જાણવા મળ્યું છે.

સવજીભાઇએ વહેલી સવારે ત્રણ વાગે પોતાની જાતને આગને હવાલે કરી હતી. આ ઉપરાંત ગામના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું કે, સવજીભાઇની આત્મ હત્યા પાછળ ગૃહકંકાસ પણ કારણભૂત છે.