પશ્ચિમ રેલવેના 12 સ્ટેશનો પર બાપુના વિવિધ ચિત્રોનું પ્રદર્શન

પોરબંદર- ગાંધીજયંતિની દેશભરમાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. ત્યારે રાષ્ટ્રપિતાના જીવન સાથે જોડાયેલા અને ઇતિહાસમાં અંકિત થયેલા પશ્ચિમ રેલવેના 12 સ્ટેશનો પર રેલવે ડિવિઝન દ્વારા ઉજવણી કવરામાં આવી હતી. જેમાં ગાંધીજીના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ દ્વારા રેલવે સ્ટેશનની સાફ સફાઇ કરીને રેલવે સ્ટેશનોને શણગારવામાં આવ્યાં હતાં.

મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદર ખાતે પોરબંદર રેલવે સ્ટેશન પર ગાંધીના કલાત્મક ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. જેમાં પોરબંદર સ્ટેશન બિલ્ડિંગ, બાઉન્ડ્રી વોલ, પેસેજ અને પ્રતિક્ષાખંડોની દિવાલો પર મહાત્મા ગાંધીના વિભિન્ન સ્મરણોથી જોડાયેલા કલાત્મક ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહિંસા પરમો ધર્મ અને સત્યમેવ જ્યતે જેવા બાપુના આદર્શોને દર્શાવતા પોસ્ટરો શામેલ છે.પોરબંદર ચેમ્બર્સ અને કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના બે માનવ કદ ચિત્ર પોરબંદર સ્ટેશનને ભેટ કરવામાં આવ્યા હતાં. જેને સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વારા પર લગાવવામાં આવ્યા છે.

પોરબંદર સ્ટેશનના એર કંડિશનર પ્રતિક્ષાખંડમાં 55 ઈંચની ડિઝિટલ સ્ક્રીન મુકવામાં આવી છે. જેના પર મહાત્મા ગાંધીના જીવનના વિભિન્ન આદર્શોને દર્શાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત પોરબંદર સ્ટેશન પર બાપુથી જોડાયેલા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવે કોલોનીના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન, ભાવનગર, પોરબંદર, લીંબડી, વઢવાણ, ગોંડલ, રાજકોટ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, પાલનપુર, વિરમગામ અને ચર્ચગેઇટ ખાતે ગાંધીજયંતિની ઉજવણી કરાઇ હતી. જેમાં પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.