વૃક્ષની આ હાલત લાલબત્તી છે, સુખસુવિધા ભોગવવા જીવન તો જોઇશે ને!: પર્યાવરણ

અમદાવાદઃ વર્ષ 1972માં સંયુક્ત મહાસભામાં વિશ્વ પર્યાવરણ સંમેલન યોજવામાં આવ્યું. 5 જૂનથી 16 જૂન સુધી યોજાયેલા આ સંમેલન બાદ 5 જૂન, 1974ના વર્ષથી વિશ્વ પર્યાવરણ દિવસની શરુઆત થઇ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરુઆતથી 143 જેટલા દેશો આ પર્વમાં ભાગ લે છે. જેમાં સરકારી, સામાજિક અને વ્યાવસાયિક લોકો ભાગ લઇ પર્યાવરણને લગતી સમસ્યાઓ, પર્યાવરણની સુરક્ષા વિષય પર સતત કામ કરતાં રહે છે.

સમગ્ર વિશ્વ પર ગ્લોબલ વોર્મિંગ એક ખતરા સમાન છે. પૃથ્વી પરના અનેક દેશોના વાતાવરણમાં અચાનક અને ચિંતાજનક ફેરફારો થઇ રહ્યા છે. ઘણીવાર માનવી પણ પર્યાવરણના નુકસાનનો એટલો જ ભાગીદાર ગણી શકાય. ઔદ્યોગિકરણ, ઝડપી શહેરીકરણને કારણે પોલ્યુશન વધતું જાય છે. ઉદ્યોગોના ઝેરી હવા, પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માર્ગ-મકાનો) નો સતત વધારો, ખાણોના ખોદકામને કારણે લાખોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. નવી મેટ્રો, બુલેટ ટ્રેનો કે માર્ગો માટે વર્ષો જૂના છાંયો આપતા વક્ષો જમીનદોસ્ત થઇ રહ્યા છે. ક્યાંક માવજતના અભાવે ફૂલછોડ સૂકાઇ રહ્ંયા છે.

આ વધતી વૃક્ષ છેદન પ્રવત્તિ સામે વૃક્ષોના ઉછેરની ઉણપથી સૂર્ય પ્રકોપ વધારે લાગે છે. મોટે ભાગે શહેરી વિસ્તારમાં કે હાઇવે પર એક ઘટાદાર વૃક્ષનો છાંયો મેળવવા લોકો આકુળ વ્યાકુળ થઇ જાય છે. પ જૂન પર્યાવરણ દિવસને ધ્યાનમાં લઇ એક કંપની પોતાના ક્રિએટીવ હોર્ડ઼િંગ્સ અમદાવાદ શહેરમાં લગાવી નાગરિકોને જાગૃત કરવા પ્રયત્ન કરે છે. આ વર્ષે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 લાખ વૃક્ષોના વાવેતરનો લક્ષાંક રાખી પર્યાવરણના સંરક્ષણની રચનાત્મક ઝૂંબેશ કરવાનો પ્રયાસ કર્યો છે.

આવનારા વર્ષોમાં પાણી બચાવવું, પાણી-હવાનું પ્રદૂષણ રોકવું તેમજ ઘટાદાર વૃક્ષોનું નિકંદન અટકાવવું  એ જ તમામ દેશરાજ્ય માટે એક મોટો પડકાર છે.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)