દિવ્યાંગો માટે તંત્રની વિશેષ વ્યવસ્થા, ઉત્સાહભેર જોડાશે મતદાનમાં…

અમદાવાદ- લોકસભા ચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કરવોએ નાનીસૂની વાત નથી.એકએક વોટ રાષ્ટ્રના ભાવિ માટે પાયાની ઇંટ જેવું મહત્ત્વ ધરાવતો હોય છે. ત્યારે ચૂંટણી પંચ પણ કાળજી લેતું હોય છે કે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા ઊભી કરવી. આ હેતુ સર લોકસભા 2019ની ચૂંટણીમાં જ્યારે દિવ્યાંગો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવશે ત્યારે તેમને માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેને લઇને તેમને મુશ્કેલીનો અનુભવ ન કરવો પડે.અમદાવાદ શહેર અને જિલ્લામાં આ ચૂંટણી માટે ૧૬,૩૭૫ દિવ્યાંગ મતદારો છે જેમના માટે સરળતાથી મતદાનની વ્યવસ્થા ગોઠવતાં જિલ્લા ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડેએ વ્યવસ્થા ગોઠવી છે. કુલ450 વ્હીલચેર અને 1092 સહાયકો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ત્યારે આ સંદર્ભે સ્વયં દિવ્યાંગ મતદારોનું શું હેવું છે તે જાણીએ…૬૦ વર્ષીય પ્રેમદાસ પ્રજાપતિ માત્ર ૨ વર્ષની ઉંમરથી જ દ્રષ્ટિ ગુમાવી ચૂક્યાં છે.તેમણે નરી આંખે સૃષ્ટિ નથી જોઈ એમ કહીએ તો ખોટું પણ નથી.પણ દુનિયાદારીનું જ્ઞાન ભરપુર છે…લોકશાહીની પ્રક્રિયામાં સૌથી મહત્વનું કામ છે મતદાનનું.આ મતદાન ન કરીએ તો શું થાય? એ પ્રશ્નનો સહજ ઉત્તર આપતાં તેઓ કહે છે કે…” હું માનું છું કે મતદાન ન કરવું એ તો પાપ છે… આપણે આપણા અધિકાર-હક  માટે સદાય તત્પર રહીએ છીએ પરંતુ ફરજ અદા કરવાની વાત આવે ત્યારે આપણે પાછીપાની કરીએ છીએ.. મારા મતે તો દિવ્યાંગ અમે નથી પણ મતદાન કરવા ન જનારા જ માનસિક રીતે દિવ્યાંગ છે…”

શારીરિક અક્ષમતા હોય તો પણ કોઈની દયા પર નહીં જીવવાની કટિબદ્ધતા ધરાવતાં આ દિવ્યાંગજનો ખરેખર તો બધી રીતે સક્ષમ છે એમ કહેવું ખોટુ નથી…

લોકસભાની ચૂંટણી ૨૩મી એપ્રિલે યોજાવાની છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થાય તેની સાથે સાથે મહત્તમ મતદાન થાય તે માટે તૈયારીઓમાં વ્યસ્ત છે.

અમદાવાદ જિલ્લામાં કુલ ૧૬,૩૭૫  દિવ્યાંગ મતદારો છે…

વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૨,૫૭૯ દિવ્યાંગ મતદારો

સાણંદ વિધાનસભા વિસ્તારમાં ૨,૦૫૫,

ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ૬૦૦,

વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ૭૩૫,

વટવા વિધાનસભા વિસ્તારમાં ૪૯૪,

એલિસબ્રીજ વિધાનસભા વિસ્તારમાં ૨૯૭,

નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ૩૫૩,

નિકોલ વિધાનસભા વિસ્તારમાં ૪૪૯,

નરોડા વિધાનસભા વિસ્તારમાં ૪૧૦,

ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારમાં ૪૫૬,

બાપુનગર વિધાનસભા વિસ્તારમાં ૬૬૨,

અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં ૭૭૩,

દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં ૩૪૯,

જમાલપુર-ખાડીયા વિધાનસભા વિસ્તારમાં ૪૭૮,

મણિનગર વિધાનસભા વિસ્તારમાં ૬૯૩,

દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં ૫૦૬,

સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ૮૧૦,

અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮,

દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાં ૪૨૮,

ધોળકા વિધાનસભા વિસ્તારમાં ૧૩૧૫,

ધંધૂકા વિધાનસભા વિસ્તારમાં ૧૬૭૫,

સૌથી ઓછાં અસારવા વિધાનસભા વિસ્તારમાં ૨૫૮ દિવ્યાંગ મતદારો છે.

આમાં મૂક, બધિર, અલ્પ દ્રષ્ટિ, હલનચલનમાં તકલીફ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ દ્રષ્ટિ ન હોય તેવા ૨,૨૯૮ મતદારો, ૧૯૯૧ મૂકબધિર, સંપૂર્ણ હલનચલન ન કરી શકે તેવા ૬,૯૭૫ મતદારો અને અન્ય શારીરિક અક્ષમતા હોય તેવા ૫,૧૧૧ મતદારો છે.

૨૧ વર્ષીય જયદીપ પીપરોતર કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.  અમદાવાદ રહી અભ્યાસ કરતાં જયદીપની ઉંચાઈ આમ તો ૨.૧૦ ફૂટ ( ૨ ફૂટ, ૧૦ ઈંચ )છે. તેઓ કહે છે કે ‘‘ મારી શારીરિક ઉંચાઈ ભલે ઓછી હોય પણ મારી વૈચારિક ઉંચાઈ અનેક ગણી વધારે છે… ’’

અમદાવાદ જિલ્લાનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેની સાથે સાથે  દિવ્યાંગ મતદારો માટે તંત્રએ વિશેષ સુવિધા ઉભી કરી છે.જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે કહે છે કે…“ આ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઈ શકે તે માટે રેમ્પ અથવા તો વ્હીલ ચેરની વ્યવસ્થા કરાનાર છે. અમદાવાદ શહેર જિલ્લામાં અંદાજે ૪૫૦ વ્હીલ ચેરની વ્યવસ્થા તથા ૧૦૯૨ સહાયકો ઉપલબ્ધ કરાશે…”તેમ તેમણે ઉમેર્યું હતું.

અપંગ માનવ મંડળમાં ગૃહ પતિ તરીકે સેવા આપતા અલ્પેશ ચૌહાણ કહે છે કે”મને પોલીયો થયો છે. માત્ર સવા બે વર્ષની નાની ઉંમરથી જ આ બીમારી લાગી ગઈ હતી. હું છેલ્લા ત્રણ વર્ષથી વ્હીલ ચેરમાં ફરુ છું… પણ હું હિંમત નથી હાર્યો..શારીરિક રીતે સક્ષમ લોકો મતદાનના દિવસે ટી.વી સામે ગોઠવાઈને આખો દિવસ મનોરંજન માણે છે.. અને પાંચ વર્ષ સુધી સરકારે શું કરવું જોઈએ તેની ચર્ચા કરતા રહે છે..પણ થોડો સમય કાઢીને મતદાન કરવા નથી જતા.. એ બહુ દૂ:ખદ છે…” એમ તેઓ ઉમેરે છે.

આજ રીતે ૨૪ વર્ષના મનદીપ ગોહિલ ફેશન ડિઝાઈનર ઈન્સ્ટ્રક્ટર  છે તેઓ તો માત્ર ૩ ફૂટની ઉંચાઈ ધરાવે છે. તેઓ પણ કહે છે કે,  ‘‘ મારા મનમાં મેં શારીરિક અવસ્થાને લીધે ક્યારેય લઘુતાગ્રંથિ નથી અનુભવી… અમે મતદાન અચૂક કરવા જઈએ છીએ..’’ ૪.૫ ફૂટની ઉંચાઈ ધરાવતા તુલસી ભોઈ પણ કહે છે કે,  “ચુંટણી તંત્ર અમારા માટે વ્હીલચેર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી છે તે ખરેખર સરાહનીય છે…  આને લીધે અમારી મતદાન કરવાની ફરજ ખુબ સરળ રીતે અદા થઈ શકે છે…”

આ દિવ્યાંગો કહે છે …અમારે ભલે પગ નથી પણ મતદાન કરવા દોડવું છે… આવા જ અન્ય એક દિવ્યાંગ યુવક કે છે કે… ‘‘ મારે ભલે હાથ નથી પણ હું ઈ.વી.એમ. મશીનમાં બટન દબાવવા કટિબધ્ધ છુ..’’

સલામ છે આ દિવ્યાંગ મતદારોના જોશ અને જુસ્સાને…