ફી નિયમન મુદ્દે દિલ્હીમાં એટર્ની જનરલ સાથે બેઠક કરશે શિક્ષણપ્રધાન ચૂડાસમા

ગાંધીનગર– ફી નિયમન મુદ્દે આજે દિલ્હીમાં એટર્ની જનરલ સાથે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક યોજાશે. શાળાઓમાં ઇતરપ્રવૃત્તિ અંગેની ફી સંબંધે શાળાસંચાલકો અને વાલીઓની રજૂઆતો અંગે આબેઠકમાં ચર્ચા થવાની છે. આ અંગે વાલીમંડળના પ્રતિનિધિઓની પણ શિક્ષણ પ્રધાન સાથે બેઠક યોજાઇ ગઇ છે.ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની પૂર્વતૈયારી અને ઇતર પ્રવૃત્તિઓની ફી નક્કી કરવાના મુદ્દે શાળાસંચાલકો તથા વાલીઓ તરફથી મળેલી રજૂઆતોના સંદર્ભે આવતીકાલે નવી દિલ્હી ખાતે એટર્ની જનરલ વગેરે સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી બંને તરફથી મળેલી રજૂઆતો સંદર્ભે સુપ્રીમ કોર્ટ સમક્ષ સામેની રજૂઆતોના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. શિૅક્ષણપ્રધાન ચૂડાસમા આવતીકાલે એટર્ની જનરલ વેણુ ગોપાલ, સિનિયર એડવોકેટ સુંદરમ તથા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે પણ બેઠક યોજશે.

સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ શાળાઓની ઇત્તર પ્રવૃત્તિઓની ફી  અંગે શાળા સંચાલકો સાથે રાજ્ય સરકારે બેઠક યોજીને તેમની રજૂઆતો સાંભળી હતી. એજ રીતે જે વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં ફી નિયમન અંગે રજૂઆતો કરી છે. તેવા વાલીઓની રજૂઆત સાંભળી આ અંગે સર્વસંમત ફોર્મ્યુલા તૈયાર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે ચૂડાસમાએ ગાંધીનગરમાં ગુરુવારે વાલીમંડળના પ્રતિનિધિઓની પણ બેઠક બોલાવીને ઇત્તરપ્રવૃત્તિ ફી અંગેની તેમની રજૂઆતોને સાંભળી હતી. આ બેઠકમાં ચૂડાસમાએ વાલીઓના પ્રતિનિધિઓને હૈયાધારણ આપતાં જણાવ્યું હતું કે,  સુપ્રીમ કોર્ટમાં વાલીઓના હિતમાં સાનુકૂળ નિર્ણય આવે તેવા તમામ પ્રયાસો કરવા સંકલ્પબદ્ધ છીએ અને આવતીકાલની એટર્ની જનરલ વગેરે સાથેની બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફી નિયમન અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં સર્વસંમત ઉકેલ લાવવા જે હેતુથી રાજ્ય સરકાર રાજ્યની સ્વનિર્ભર શાળાઓની ફી અંગે જે કાયદો લાવી છે તે હેતુ સાકાર થાય તે દિશામાં રાજ્ય સરકાર તમામ કાનૂની પ્રક્રિયા અને નામ. સુપ્રીમ કોર્ટમાં વચગાળાના આદેશ મુજબ આગળ વધી રહી છે અને વાલીઓના પ્રતિનિધિઓ સાથેની આજની બેઠક પણ આ પ્રક્રિયા અંતર્ગત જ બોલાવાઇ છે.