નવી શાળાઓ, ભરતી સહિત શિક્ષણક્ષેત્રનો ચિઠ્ઠો વિધાનસભામાં ખોલતાં શિક્ષણપ્રધાન

ગાંધીનગર- વિધાનસભા ખાતે ચાલી રહેલા ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં શિક્ષણ વિભાગના અંદાજપત્રને સર્વાનુમતે પસાર કરાયું હતું. વિધાનસભા ગૃહમાં ૧૮ થી વધુ ધારાસભ્‍યોએ ચર્ચામાં ભાગ લઈને રચનાત્‍મક સૂચનો કર્યા હતાં.શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે,કેન્‍દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ભારતના તમામ રાન્નયોની શિક્ષણની કામગીરીને ઘ્‍યાને રાખી અપાતા પર્ફોમન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષ( પી.જી.આઈ.)માં કેટલાક મહત્‍વના ઇન્‍ડીકેટરના લર્નિગ આઉટકમ્‍સ અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્‍ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦માંથી ૯૯, શિક્ષણની સમાન તકોમાં ર૩૦માંથી ર૦૭, શિક્ષણ સંચાલન પ્રક્રિયામાં ૩૬૦માંથી ર૭૯ સ્‍કોર મેળવી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્‍થાને રહ્યું છે. જયારે આ પાંચેય ઈન્‍ડીકેટરની સરેરાશના આધારે ગુજરાતને સમગ્ર દેશમાં ત્રીજું સ્‍થાન પ્રાપ્‍ત થયું છે.

શિક્ષણ પ્રધાને એમ પણ જણાવ્‍યું હતું કે, રાજ્યના શિક્ષણમાં ગુણાત્‍મક પરિવર્તનના કારણે અને શાળાઓની ભૌતિક સુવિધાથી આકર્ષિત થઈને સમાજમાં સરકારી શાળા તરફ અસંખ્‍ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. છેલ્‍લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે.

ભારત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ માટે ગ્રીન યોર સ્‍કૂલ અંતર્ગત ગ્રીન સ્‍કૂલ એવોર્ડ એનાયત કરાય છે, તે અંતર્ગત ગત વર્ષ ભરૂચ જિલ્‍લાની આંકલવા અને ડાંગ જિલ્‍લાની ગોંડલવિહિર સરકારી પ્રાથમિક શાળાએ ગ્રીન સ્‍કૂલ તરીકેનો પ્રથમ એવોર્ડ અને દ્વિતીય ક્રમનો એવોર્ડ મેળવ્‍યો છે.

શિક્ષણ વિભાગની રૂ. ૩૦૦૪પ કરોડની અંદાજપત્રીય માગણીઓ પરની ગૃહમાં થયેલી ચર્ચાનો ઉતર વાળતા શિક્ષણ પ્રધાને કેટલીક નવી જાહેરાતો કરતા જણાવ્‍યું હતું કે,  શિક્ષણની સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપ  રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ષ ર૦૧૯-ર૦થી ધોરણ-પ અને ધોરણ-૮માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે માસ સઘન શિક્ષણ આપી પુનઃ પરીક્ષા લેવામાં આવશે. બાળકોની સલામતી માટે સરકારી પ્રાથમિક શાળાઓને સીસીટીવી કેમેરાની સગવડ પૂરી પાડી બાળકોને સલામતી પૂરું પાડવાનું આયોજન કરાયું છે.

પ્રાથમિક અને માઘ્‍યમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ

પ્રાથમિક અને માઘ્‍યમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ધોરણ-૧ થી ૧૦ માટે એનીમેટેડ ઈ-કન્‍ટેન્‍ટ તેમજ વર્ગખંડ આધારિત વિડીયો કન્‍ટેન્‍ટ, શાળા વ્‍યવસ્‍થાપન અને શૈક્ષણિક પ્રક્રિયા માટે ઈ-રીસોર્સ પોર્ટલ, કન્‍ટેન્‍ટ નિર્માણ માટે શિક્ષક તાલીમ, શિક્ષકોનેઆઈ.સી.ટી. ક્ષેત્રે પાયાગત મુશ્‍કેલી નિવારણ તાલીમ, શાળા કક્ષાએ કમ્‍પ્‍યુટર લીટરસી સેન્‍ટર, શાળા કક્ષાએ બાયોમેટ્રિક એટેન્‍ડન્‍સ સીસ્‍ટમ, શાળા કક્ષાએ ઓનલાઈન એસસમેન્‍ટ સીસ્‍ટમ, જેવા ઈનીશીએટીવ હાથ ધરવા ગુજરાત ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એજયુકેશનલ ટેકનોલો(GIET)ના પુનઃગઠન માટે રૂ. ૧૦૦ કરોડની નવી બાબત રજૂ કરવામાં આવેલ છે.

ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિત હાજરીના રાજ્ય કક્ષાએથી મોનીટરીંગ માટે ઓનલાઈન અટેન્‍ડન્‍સ સિસ્‍ટમ શરૂ કરાયેલ છે. ઓન લાઈન એટેન્‍ડન્‍ટ સીસ્‍ટમમાં આશરે ર,પ૦,૦૦૦ શિક્ષકોની હાજરી પૂરવામાં આવે છે અને પ્રાથમિક તથા માઘ્‍યમિક શાળાઓના આશરે ૭૦ લાખ વિદ્યાર્થીઓનું હાજરીનું મોનીટરીંગ કરાય છે. ૧૦૦ ટકા હાજરીના મોનીટરીંગ માટે ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે અને તેની નોંધ નીતિ આયોગના રિપોર્ટમાં પણ લેવાયેલ છે.

માધ્યમિક શાળાઓમાં ખાલી પદોની ભરતી

માઘ્‍યમિક શિક્ષણ ક્ષેત્રે લેવાયેલ પગલાઓની વિગતો આપતા શિક્ષણ પ્રધાને જણાવ્‍યું હતું કે,  માઘ્‍યમિક શાળાઓના રર૦૦ આચાર્યોની ખાલી જગ્‍યાઓ ભરવાનો કાર્યક્રમ હાલમાં ચાલુ છે, જેમાંથી ૮૦૦ જેટલા આચાર્યોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. છેલ્‍લા બે વર્ષમાં ૧૩૩ નવી સરકારી માઘ્‍યમિક શાળાઓ મંજૂર કરાઈ છે. છેલ્‍લા ૩ વર્ષમાં ગ્રાન્‍ટેડ માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓમાં ૪૦૬૩ શિક્ષણ સહાયકોની નવી નિમણૂક કરાઈ છે.

યુનિવર્સિટીઓના ગુણવત્તાયુકત શિક્ષણમાં સુધારો

રાજ્યની ૧૦ સ્‍ટેટ યુનિવર્સિટીઓમાંથી ૮ યુનિવર્સિટીઓને NSSEમાં એ ગ્રેડ મળ્‍યો છે. ર૧ યુનિવર્સિટીઓ અને પ૦ સરકારી અને ગ્રાન્‍ટ ઈન એઈડ કોલેજોએ વર્ષ ર૦૧૮-૧૯માં સ્‍ટેટ ઈન્‍સ્‍ટીટયુશન રેંકીંગ ફ્રેમવર્ક હેઠળ ભાગ લીધેલો તેના કારણે આ યુનિવર્સિટીઓના ગુણવત્તાયુકત શિક્ષણમાં સુધારો થશે. તેમજ ભવિષ્‍યમાં પણ નેશનલ રેંકીંગમાં પણ તેઓ સારો દેખાવ કરી શકશે.

પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીઓ માટે અગત્‍યની જાહેરાત

પી.એચ.ડી. કરનાર વિદ્યાર્થીઓ માટે અગત્‍યની જાહેરાત કરતાં શિક્ષણપ્રધાને જણાવ્‍યું હતું કે, પૂર્ણ સમય પીએચ.ડી કરનારને માસિક રૂા.૧પ,૦૦૦/-નું સ્‍ટાઈપેન્‍ડ અને અન્‍ય ખર્ચ પેટે વાર્ષિક રૂા.ર૦,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવશે આ સહાય વાર્ષિક એક હજાર વિદ્યાર્થીઓની મર્યાદામાં ચૂકવાશે.

ટેબલેટનું વિતરણ

ટેકનિકલ શિક્ષણ અંતર્ગત ટેબલેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ રાજ્ય અને દેશના વિકાસમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે તેવા હેતુથી વર્ષ ર૦૧૭ થી  શરૂ કરાયેલ ટેબલેટ વિતરણ યોજના અંતર્ગત છેલ્‍લા ર વર્ષમાં ૬ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયું છે.