કચ્છમાં ભૂકંપના આંચકાઓથી લોકોમાં ફેલાયો ગભરાટ

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. બપોરે ૧.૧૦ કલાકે રાપર પાસે ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રાપર, ભચાઉ, સહિતના પંથકમાં આ આંચકો અનુભવાયો હતો.

ગઈ કાલે બે આંચકા બાદ આજે ત્રીજો આંચકો આવ્યો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર પણ 2001માં આવેલા મહા ભયાનક ભૂકંપના એપીસેન્ટર વાળું જ હતું. ત્યારે સતત બીજા દિવસે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. આ આંચકો બપોરે 1 વાગ્યેને 10 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું ગુજરાત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ રાપરથી 24 કિમી દૂર 15.3 કિમીની ડેપ્થમાં કેન્દ્ર બિંદુ હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી કચ્છમાં ભૂંકપના આંચકાએ જોર પકડ્યું છે. સોમવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ અગાઉ રાજ્યમાં જામનગર, કચ્છ, નવસારી, તાપીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાયા તે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.