વર્ષે દોઢ લાખ વ્યક્તિના મૃત્યુ આ કારણે….

ગાંધીનગર-દર વર્ષે દોઢ લાખ વ્યક્તિ માર્ગ અકસ્માતના કારણે મોતના મુખમાં ધકેલાય છે. જેમાં મોટાભાગના કિસ્સામાં વાહનચાલકની બેદરકારી ભાગ ભજવતી હોય છે. આ સ્થિતિ સામે જનજાગૃતિ ઝૂંબેશના ભાગરુપે આ વર્ષે યોજાનાર રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીમાં આગવી થીમ રાખવામાં આવી છે.૨૩ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન ૨૯મા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણીમાં ‘‘સડક સુરક્ષા-જીવન રક્ષા’’ થીમ છે.

માર્ગ સુરક્ષા માટે સામાજિક ચળવળ અને જનજાગૃતિ જરૂરી છે જે માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે એક અંદાજ મુજબ દેશભરમાં પ્રતિવર્ષ માત્ર માર્ગ અકસ્માતમાં જ દોઢ લાખ લોકોની જિંદગી હોમાઇ જાય છે. માર્ગ અકસ્માતનો ભોગ બનતી માનવ જિંદગીને બચાવવા સૌથી મહત્વની બાબત માર્ગ અકસ્માતને ઘટાડવાની છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાએથી ઉજવાતા માર્ગ સુરક્ષા સપ્તાહ દરમિયાન ગુજરાત રાજ્યમાં પણ માર્ગ સુરક્ષા એક સામાજિક ચળવળ  બને અને લોકજાગૃતિ ફેલાય તે માટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.