કચ્છમાં યુએઇ અને ઇરાનના ખજૂર રોપાથી ખેતી,પ્રતિ હેકટરે ૧૨-૧૩ મેટ્રિક ટન ઉત્પાદન

ગાંધીનગર-કૃષિપ્રધાન- રાજ્ય જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું છે કે, બાગાયત પાકો થકી કિસાનો સદ્ધર થાય તે માટે સરકાર સહાય આપે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ખારેક પકવતા ખેડૂતોને અદ્યતન પદ્ધતિથી પાક લેવા માટે આપવામાં આવેલ માર્ગદર્શનના પરિણામે કચ્છની ખારેક આજે દેશવિદેશમાં પહોંચી છે. કચ્છની ખારેકનું અને દિલ્હી, ચેન્નાઇ, મુંબઇ, હૈદ્રાબાદ ખાતે પણ પુષ્કળ વેચાણ થઇ રહ્યું છે.કચ્છ જિલ્લામાં ખારેક પકવતા ખેડૂતોને રૂ.૨૩.૧૪ લાખની સહાય અપાઇ છે. ખેડૂતોને વધુ ઉત્પાદન મળે તે માટે ઇઝરાયલ તથા કેન્દ્ર સરકારના સહયોગથી ભૂજ તાલુકાના ઉપમા ખાતે સેન્ટર ફોર એકસેલન્સનું રૂ.૪૫૦ લાખના ખર્ચે નિર્માણ કરાયું છે. જેમાં ગુણવત્તાયુક્ત ખારેક ઉત્પાદન માટે માર્ગદર્શન, વ્યવસ્થાપન તાલીમ ડ્રીપ ઇરીગેશન તથા ઓટોવેધરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઇ છે. જેનાથી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે ટીસ્યુકલ્ચર પદ્ધતિથી ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ વધુ ઉત્પાદન માટે વિદેશમાંથી રોપાની આયાત કરાય છે જે યુ.એ.ઇ. અને ઇરાનથી આયાત કરવામાં આવે છે.

ટીસ્યુકલ્ચર પદ્ધતિથી ખારેકના ઉત્પાદન માટે એક હેકટરમાં ૧૨૫ રોપાઓનું વાવેતર થાય છે. પ્રતિવર્ષ ખેડૂતોને ૩.૫૨ લાખનું ખર્ચ થાય છે. રોપાનું વાવેતર બાદ સાત વર્ષ પછી પ્રતિ હેકટરે ૧૨ થી ૧૩ મે.ટન ઉત્પાદન થાય છે અને પ્રતિ કિલોના ભાવે ખારેક રૂ. ૩૦/-ના ભાવે વેચાણ થાય છે. જેનાથી ખેડૂતોને ૩ થી ૫ લાખ રૂપિયાની આવક થાય છે.