જીજ્ઞેશ મેવાણીને ફરીથી જાનથી મારી નાંખવાની ધમકી મળી

અમદાવાદઃ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને એકવાર ફરીથી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે આજે ફરીથી એ જ નંબર પરથી ફોન આવ્યો જે નંબર પરથી બુધવારે ગોળી મારવાની ધમકી મળી હતી.

મેવાણીએ જણાવ્યું કે ફોન પર તેમને રવિ પૂજારી ગેંગ દ્વારા જાનથી મારી નાંખવાની ઘમકી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે બપોરે ફોન પર મેવાણીને આ પ્રકારની ધમકી મળી હતી. આ મામલે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.

મેવાણીએ જણાવ્યું કે મારા સહકર્મી કૌશિક પરમારે જણાવ્યું કે કોઈ રાજવીર મિશ્રા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે તું જો જીજ્ઞેશ મેવાણી છે તો હું તને ગોળી મારી દઈશ. મેવાણીએ એ પણ આરોપ લગાવ્યો કે ફેસબુક અને ટ્વિટર પર તેને આ પહેલા પણ આવી ધમકીઓ મળી હોવા છતા ગુજરાત પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.

દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ હવે દલિત એકતા મંચે જીજ્ઞેશ મેવાણી માટે ગુજરાત સરકાર અને ગુજરાત ડીજીપી પાસેથી ‘Y’ કેટેગરીની સુરક્ષાની માગણી કરી છે.