કુંવરજી બાવળીયાની અમદાવાદ મુલાકાત ચર્ચામાં, અમિત શાહને મળશે?

અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોળી આગેવાન કુંવરજી બાવળીયા પહેલા જ પક્ષ સામે પોતાની નારાજગી અને અસંતોષ વ્યક્ત કરી ચૂક્યાં છે. ગત અઠવાડિયે તેમણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી અને પોતાની વ્યથા ઠાલવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાન કોંગ્રેસ સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી ચૂકેલા કુંવરજી બાવળીયા ગત રાત્રે પોતાના બે ટેકેદારો સાથે અમદાવાદ આવ્યાં હતાં. આ મુલાકાતને લઇને રાજકીય  વર્તુળોમાં અનેક અટકળો વહેતી થઈ છે કારણ કે અમિત શાહ પણ અમદાવાદમાં હતાં અને કુંવરજી બાવળીયા પણ અમદાવાદ આવી પહોંચ્યાં તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે ભાજપની બે દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ચિંતન શિબિર અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કોંગ્રેસના પીઢ નેતા અને કોળી સમાજના અગ્રણી એવા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાવાની વાતો અંગે પણ નિવેદન કર્યાં હતાં. વાઘાણીએ જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી પોતાની શક્તિમાં ઉમેરો કરવા માગતી હોય છે. હાલ કોઇ વ્યક્તિ સાથે અમારે ચર્ચા નથી થઈ. પરંતુ કોઇપણને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે.

એક બાદ એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસથી નારાજ થઈ રહ્યા છે ત્યારે રાજકોટના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને કાંટે કી ટક્કર આપી હતી. ત્યારે હવે કુંવરજી બાવળીયાનું અમદાવાદ આગમનને લઇને કોંગ્રેસમાં કકળાટ પર રાજકીય પંડિતોમાં ચર્ચા જામી છ

કોગ્રેસમાંથી રાજીનામું આપનારા રાજકોટના અગ્રણી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સમર્થનમાં કોંગ્રેસના 17 કોર્પોરેટરોની બેઠક આજે યોજાઇ હતી.જેમાં નક્કી કરાયું કે 17 કૉંગી કોર્પોરેટર ઇન્દ્રનીલના સમર્થનમાં કરશે પ્રદેશ કોંગ્રેસને રજૂઆત કરશે,અને ધાર્યું પરિણામ ન મળે તો તમામ કોર્પોરેટરો દ્વારા રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ સત્તર કોર્પોરેટરોમાં…વશરામ સાગઠિયા, અતુલભાઈ રાજાણી, નીલેશભાઈ મારુ,હારુનભાઈ  ડાકોર,માસુબેન હેરભા,મકબૂલભાઈ દાઉદાણી,રસીલાબેન ગરૈયા,સ્નેહાબેન દવે,પારુલબેન ડેર,ગીતાબેન પુરબીયા,દિલીપ આશવાણી,રેખાબેન ગજેરા,સીમીબેન જાદવ,પરેશભાઈ હરસોડા,રવજીભાઈ ખીમસૂરિયા,જયાબેન ટાંક,ગાયત્રીબેન ભટ્ટનો સમાવેશ થાય છે.