અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી કોઈ વાત નથીઃ મુખ્યપ્રધાન રુપાણી

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવા મામલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સાબરકાંઠાના વડાલીમાં મુખ્યપ્રધાન રુપાણીની જાહેરસભા યોજાઈ હતી. આ જાહેરસભામાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે અલ્પેશ ઠાકોરનું રાજીનામું તેની અંગત બાબત છે અને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી કોઈ વાત નથી.

સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર દીપસિંહ રાઠોડના સમર્થનમાં સભા યોજાઈ હતી. ત્યારે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની વાત પર સીએમ વિજય રૂપાણી બોલ્યા કે, કોઈ ભાજપની વાત નથી. અલ્પેશને કોંગ્રેસમાં તકલીફ છે. કોંગ્રેસને છોડી છે. હાલ ઘણા બધા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસ ડૂબતી નાવડી છે તેવુ બધા સમજી ગયા છે. હાલ, અલ્પેશના ભાજપમાં આવવાની કોઈ વાત નથી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા, અને પાર્ટીએ તેમની સાથે અન્યાય કર્યો તેથી રાજીનામુ આપ્યું. હજી અમારો કોઈ સંપર્ક થયો નથી. જે પણ ભાજપમાં જોડાવા માંગે છે, તેમનુ તે સ્વાગત કરશે. હાલ અત્યારે કોઈ સંપર્ક તેમણે કર્યો નથી. તેમજ ઉત્તર ગુજરાતમાં ભાજપ ના ફાયદા કરતા અલ્પેશથી કોગ્રેસને વધુ નુકશાન છે.

તેમણે કહ્યું કે, આ પરિવારવાદમાં કોંગ્રેસ વધુને વધુ ખૂંપતી જઈ રહી છે. પ્રિયંકા ગાંધીના આગમનથી લોકોને આખો પરિવાર દેખાય છે. પરિવાર સિવાય ત્યાં કઈ વધ્યું નથી. કોંગ્રેસ પરિવારવાદમાં બરબાદ થઈ ગયું છે. રોજ લોકો કોંગ્રેસ છોડી રહ્યાં છે.