પાણી અને ઘાસચારાની સ્થિતિનો તાગ મેળવવા રૂપાણી કચ્છમાં…

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રાજ્યના સરહદી વિસ્તાર કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાત લેશે. તેઓ કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમજ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત લઈને હાલની સ્થિતિની જાણકારી મેળવશે. આ ઉપરાંત સીએમ રૂપાણી જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અસરગ્રસ્ત જિલ્લામાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોનો માહિતી મેળવશે.

મુખ્યપ્રધાન તેમની આ કચ્છ મુલાકાતમાં સવારે ૧૧-૩૦ કલાકે સૌપ્રથમ લખપત તાલુકાના નારાયણ સરોવર પહોચશે અને ગ્રામજનો સાથે સંવાદ-મુલાકાત કરશે. તેઓ કોટેશ્વરમાં લખપત તાલુકાના અધિકારીઓની બેઠક યોજીને અછત રાહત કાર્યો માટે માર્ગદર્શન કરશે. ત્યાર બાદ બપોરે બે વાગ્યે ધોરડોના ગોરેવલીના વોટર વર્કસની તથા મીઠડીના ગ્રામજનોની મુલાકાત લઇને વાર્તાલાપ સંવાદ કરશે. ત્યારબાદ અહીં જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં હાલ ૪૮૧ ઢોરવાડામાં ર લાખ ૮પ હજાર પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. રરપ ઘાસ ડેપો અંતર્ગત ૧ લાખ ૧૭ હજાર ઘાસ કાર્ડ ધારકોના કુલ ૩ લાખ ૯૦ હજાર પશુઓને આવરી લેવાયા છે.  એટલું જ નહીં, કચ્છ જિલ્લાને ગત વર્ષની તુલનાએ રોજનું વધુ ૧૦ કરોડ લીટર પાણી પુરૂં પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-ર૦૧૯ સુધીમાં ૧ર૦૦ MCFT ભરવામાં આવ્યો છે.