રુદ્રમાતા ડેમસાઇટ પર રક્ષક વન લોકાર્પિત, ઓગસ્ટમાં વૃક્ષારોપણ ઝૂંબેશ યોજાશે

કચ્છ– જળક્રાંતિ બાદ હવે હરિયાળી ક્રાંતિ માટે ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં સઘન વૃક્ષારોપણ ઝૂંબેશ હાથ ધરાશે તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રુદ્રમાતા ડેમસાઇટ પર રક્ષકવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપતાં જણાવ્યું હતું.તેમણે કહ્યું કે તળાવો, ચેકડેમ ઉંડા કરવાના સુજલામ્ સુફલામ્ જળસંચય કાર્યક્રમને પરિણામે ૧૧ હજાર લાખ ઘન ફૂટથી વધુ વરસાદી જળના સંગ્રહની ક્ષમતા આપણે વિકસાવી છે. હવે, નદી તળાવોના કિનારે સઘન વૃક્ષારોપણ ઝૂંબેશથી ગુજરાતને લીલુંછમ બનાવશું.સીએમે ગુરુપૂર્ણિમાના અવસરે ૬૯માં વન મહોત્સવનો પ્રારંભ રક્ષક વનના લોકાર્પણથી કરાવ્યો હતો. અત્યાર સુધી નિર્માણ પામેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી વિશાળ ૯.૪ હેકટરમાં પથરાયેલું આ રક્ષક વન ૧૯૭૧ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભાંગી ગયેલી ભૂજની હવાઇ પટ્ટી માધાપરની બહેનોએ રાતોરાત શ્રમશક્તિથી પુનર્જિવિત કરી મા ભોમનું રખોપું કર્યું તેની યાદમાં રક્ષક વન નામ પામ્યું છે. ૧૯૭૧ના યુદ્ધમાં અનોખું સાહસ કરનારી માધાપર ગામની મહિલાઓનું સન્માન કર્યું હતું અને સાથે ગ્રામવન યોજના અંતર્ગત રાજ્યની ગ્રામ પંચાયતોને રૂ. ૧૭૨ લાખના ચેકોનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે અહીં ઉપસ્થિત સંતોમહંતોની વંદના પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. તેમણે રક્ષક વનમાં વૃક્ષારોપણ કરી તેની મુલાકાત કરી હતી. તેમણે આરોગ્યવાનને ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.આ ૯.૫૦ હેકટર વિસ્‍તારના ‘રક્ષકવન’ માં ૩૦ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. તેમજ આ ‘રક્ષકવન’ માં શિશુ વાટિકા, ઓપન જીમ, વોટરફોલ, કલાત્‍મક ફેન્‍સીંગ, શૌર્ય શિલ્‍પ, પગદંડી, વોચ ટાવર, ગઢ જેવા પ્રદેશ ઘર, મ્‍યુરલ્‍સ વોલ, શૌર્ય મશાલ, વિવિધ પ્રકારના વનો, બી.એસ.એફ. બંકર, સૌથી મોટી વોટર બોડી, પાણીની પરબ, ટોપલો બ્‍લોડ, બી.એસ.એફ. બંકર વગેરે બનાવવામાં આવેલ છે.

રાજ્યમાં ૧૮ જેટલા સાંસ્કૃતિક વનોથી વનવિભાગે ૨૦૧૭ સુધીમાં ૩૪.૩૫ કરોડ વૃક્ષો વન સિવાયના વિસ્તારમાં ઉછેર્યા છે. છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો થયો છે અને છેલ્લા બે વર્ષમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં ૯૭૦૦ હેકટરની વૃદ્ધિ થઇ છે.

કચ્છ સહિતના ખારાશવાળી જમીન ધરાવતા અને દરિયાઇ વિસ્તારોમાં સમુદ્રના પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવવા ૧૦ ડિસેલિનેશન પ્લાન રાજ્યમાં સ્થાપવામાં આવશે. જામનગરના જોડિયા તથા કચ્છમાં આ પ્રકારના ડિસેલિનેશન પ્લાન્ટની સ્થાપનાની કામગીરી શરૂ થયા બાદ અન્ય વિસ્તારોમાં પણને આવા ડિસેલિનેશન પ્લાન્ટના નિર્માણથી રાજ્યમાં પીવાના પાણીના સંકટને દૂર કરાશે

કચ્છને પીવાના પાણીની કોઇ તકલીફ નહીં પડવા દેવાય એવી ખાતરી આપતા રુપાણીએ કહ્યું કે ટપ્પર ડેમ ફરી નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને તાલુકા મથકે ઘાસના ડિપો ખોલી રૂ. ૨ પ્રતિ કિલોએ ઘાસ આપવામાં આવશે.