હવે શાળાઓમાં પર્યાવરણની પણ પ્રયોગશાળાઓ, મુખ્યમંત્રીની જાહેરાત…

પોરબંદરઃ આજે સમગ્ર દેશ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોપાટી ખાતે રહેલો કચરો ઉપાડી એક બેગમાં એકઠો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા.

બાપુના જન્મસ્થળ કિર્તી મંદિરમાં સીએમ રૂપાણીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, ગાંધી એક વ્યક્તિ નહિ, પણ એક વિચાર હતા. એમનું જીવન ઉચ્ચ આદર્શ અને મૂલ્ય સાથે જોડાયેલું હતું. સત્ય, અહિંસા સહિતની વાતો રાજનેતા અને સંત તરીકે પોતાનું જીવન સમર્પિત કર્યું. દેશ આઝાદ થશે એ ખબર હતી. આઝાદી પછી એવી ચેતના જગાવી, જેમાં ભારત શક્તિશાળી ભારત બંને માટે સામાજિક પરિવર્તન તરફ લોકોને વાળ્યા. દક્ષિણ આફ્રિકા ખાતે તેઓને અન્યાય થયું ત્યારથી તેમના જીવનમાં મોટો વળાંક આવ્યો. આજે પણ દુનિયાને ગાંધીના વિચારની આવશ્યકતા છે. 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જયંતીની ઉજવણી સાથે કિર્તીમંદિર ખાતે પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ પોરબંદર ખાતે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, પર્યાવરણ અંગે જાગૃતતા આવે માટે વિદ્યાર્થીઓને શાળામાં પર્યાવરણ લેબ શરૂ કરવામાં આવશે. શિક્ષણમાં નૈતિક મૂલ્યના પાઠ શીખવવા માટે જાહેરાત કરવામાં આવી છે.