અમદાવાદઃ જ્યાં માણસને ચાલવાની જગ્યા નથી ત્યાં AMTS બસનો સરક્યુલર રુટ…

અમદાવાદ- ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેરનો છેલ્લા કેટલાક વર્ષોમાં ચારેય તરફ  વિકાસ થયો છે. જૂના શહેર અને નવા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં આડેધડ થયેલા વિકાસને કારણે અનેક સમસ્યાઓ પણ ઉભી થઇ છે. કોટ વિસ્તારનું અમદાવાદ ગીચતા અને દબાણો વચ્ચે દબાઇ રહ્યું છે. રહેણાંક વિસ્તારોમાં દુકાનો અને ગોડાઉન બની જતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વધતી જ જાય છે. વળી છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત જ જાણે વિકાસનું મોડલ રાજ્ય છે, એવું સતત ગાણું ગાતા દેશ-દુનિયાનું ધ્યાન અમદાવાદના રિવરફ્રન્ટથી માંડી હેરિટેજ સ્થળો પર કેન્દ્રિત થયું છે. હજારો લોકો ગુજરાત-અમદાવાદની મુલાકાતે આવે છે.જૂના અમદાવાની મુલાકાતે જતા લોકોને એક વાત ધ્યાન આવી શહેરના સાંકડા માર્ગો પર જ્યાં માણસોને ચાલવાની જગ્યા નથી, ત્યાં અ.મ્યુ.કો એ મફત બસની સેવા શરુ કરી દીધી છે, એય પણ સરક્યુલર રુટ… બારેમાસ મેળો, માનવ મહેરામણ અને દબાણોની ખીચોખીચ એવા ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોરનાકા, ગાંધીરોડ, કાલુપુર , વિજળી ઘર જેવા વિસ્તારોમાંથી બસ પસાર થાય છે.chitralekha.comએ એક બસના ડ્રાઇવરે જ્યારે પુછ્યું કે આ માણસો અને દબાણોથી ભરપૂર વિસ્તારમાં બસ કેવી રીતે ચલાવો છો… ત્યારે ડ્રાઇવરે જવાબમાં કહ્યું કે રોજ ડરી ને સાચવીને બસ ચલાવવી પડે છે કારણ અહી ઠેરઠેર દરેક વિસ્તારોમાં માથાભારે તત્વો છે. ઉગ્રતા-ઝઘડા અને હુંસાતુસી ના થાય એનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.સમગ્ર સરકારી તંત્ર દેશ-વિદેશના લોકોને પ્રવાસ માટે આમંત્રણ આપે છે. વિકાસ રંગરોગાન, જાળવણીના નામે કરોડોનો ખર્ચ પણ થાય છે. પરંતુ શહેરના જે માર્ગો પર લોકો માટે બસો મુકવામાં આવી છે ત્યાં માણસ સરખી રીતે ચાલી શકે એવી જગ્યા ક્યાં છે…

તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ