આજથી નવસારી ખાતે છ-દિવસીય ‘ચિત્રલેખા નાટયસ્પર્ધા’નો આરંભ

નવસારી – ગુજરાત રાજય નાટય અકાદમીના નેજા હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા આયોજિત તેરમા વર્ષે ‘ચિત્રલેખા નાટયસ્પર્ધા’નો આજે, ૧પમી ડિસેમ્બર-૨૦૧૮થી નવસારી ટાટાહોલ ખાતે મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય સાથે પ્રથમ ચરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ બે ચરણમાં અમદાવાદ ખાતે છ અને ભાવનગર ખાતે છ નાટકોની ભજવવામાં આવ્યા હતા. તા.૨૦ ડિસેમ્બરે મુંબઇ ખાતે યોજાનાર ફાઇનલ રાઉન્ડ માટેના નાટકોની પસંદગી થશે.

નવસારી જિલ્લાની માહિતી કચેરી તરફથી જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, ‘ચિત્રલેખા નાટયસ્પર્ધા’માં કુલ ૧૯ નાટકોની પસંદગી કરવામાં આવી હતી. નવસારી ખાતે આજે ‘એક આત્મા શુધ્ધ ગૌતમ બુદ્વ’ નાટક ભજવાશે તો, તા. ૧૬મીએ ‘બાળ ભગવાન અને અરીસો’, તા.૧૭મીએ ‘આતમના ઉતારા’, તા.૧૮મીએ ‘ફાઇનલ ડ્રાફ્ટ’, તા.૧૯મીએ ‘સંભવ અસંભવ’ અને તા.૨૦મીએ ‘જીના ઇસીકા નામ હૈ’ નાટકો રજૂ થશે.

આ નાટયસ્પર્ધાના પ્રારંભ અવસરે નવસારીના સાંસદ સી.આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ, નવસારી નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ પટેલ, પાલિકા કારોબારી અધ્યક્ષ પ્રેમભાઇ લાલવાણી, નાટય લેખક અને સ્પર્ધાના સ્તંભ એવા પ્રવીણભાઇ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલીતભાઇ શાહ, રમાકાંત ભગતની સાથે સ્પર્ધાના નિર્ણાયકો – પ્રસિદ્વ નાટયકાર ડો. મહેશ ચંપકલાલ (વડોદરા) અને ભાર્ગવ ઠક્કર (અમદાવાદ) ઉપસ્થિત રહેશે.

સુરતના શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ, જીવન ભારતી મંડળ સુરત, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ (ભુજ), રાજવી જોશી-રાજ થિયેટર સુરતના સહયોગ વડે આ નાટયસ્પર્ધા યોજાઇ રહી છે.