નર્મદા યોજનાના નહેર માળખાં માટે 730.90 કરોડ મંજૂર કરતી કેન્દ્ર સરકાર

ગાંધીનગર- વર્ષો વીત્યે પણ નર્મદા યોજના સંપૂર્ણ પરિપૂર્ણ થઈ શકી નથી જેમાં તેના નહેર માળખાના વિકાસનો મુદ્દો મુખ્ય છે. ત્યારે કેન્દ્ર સરકારની આ મંજૂરીથી કામકાજ ગતિ પકડશે.

ફાઈલ ચિત્ર

આ માહિતી આપવા સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું છે કે, સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરિત લાભ સિંચાઇ યોજના હેઠળ વર્ષ 2018-19 માટે કેન્દ્ર સરકાર દ્વારા રુપિયા 730.90 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

નર્મદા યોજનાનો કેન્દ્ર સરકાર દ્વારા અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદ થયેલી દેશની ૯૯ યોજનાઓમાં આ પ્રોજેક્ટ પણ છે. કેન્દ્ર સરકારની લોંગ ટર્મ ઇરીગેશન ફંડ (LTIF) યોજનામાંથી રૂ.૧૪૮૪.૩૯૧ કરોડની લોંગ ટર્મ ઇરીગેશન ફંડની લોન ૬ % ના ઓછા વ્યાજ દરથી મંજૂર કરી છે. જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે. રાજ્યના લાખો ખેડૂતોને સિંચાઇના પાણીની સુવિધા માટે અને કરોડો નાગરિકોના પીવાના પાણીની જરૂરીયાતને પૂર્ણ કરતી આ યોજનાના નહેર માળખાના બાંધકામો સત્વરે પૂર્ણ કરાશે.  

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રમાં સત્તા સંભાળ્યાના ૧૭માં દિવસે સરદાર સરોવર બંધની ઉંચાઇ વધારવાની મંજૂરી આપી હતી, અને જૂન-17માં દરવાજા બંધ કરવાની મંજૂરી પણ મળી હતી.