ગેરરીતિ કરતાં RTO કચેરીના 5 કર્મચારી બરતરફ, હવે આવી નવી સીસ્ટમ

ગાંધીનગર– નાણાકીય ગેરરીતિ સામે સરકારે દંડો ઉગામતાં ભાવનગર આરટીઓના પાંચ કર્મચારીઓને બરતરફ કર્યાં છે. તેઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી પર ઊતારવામાં આવ્યાં છે.સાથે જ આ ઘટનામાંથી ધડો લેતાં નવી સીસ્ટમ અમલમાં મૂકી દીધી છે.બંદરો અને વાહનવ્યવહાર વિભાગ હેઠળની વાહનવ્યવહાર કમિશનર કચેરીએ અનિયમિતતા અને નાણાંકીય ગેરરીતિઓ કરતાં જે પાંચ કર્મચારીઓને બરતરફ કર્યાં છે તેમાં જનસંપર્ક અધિકારી જે.એમ.ગાંધી, સિનિયર ક્લાર્ક  એન.એ.પટેલ,  કે.કે.મહેતા,  એમ.એન.રાઠોડ અને બી.કે. બોરીચાનો સમાવેશ થાય છે. તાત્કાલીક અસરથી ફરજ મોકૂફી સાથે તેઓની અલગઅલગ સ્થળોએ બદલી પણ કરી દેવાઇ છે.

કચેરીમાં આધુનિક સોફ્ટવેર દ્વારા સિલ્વર/ગોલ્ડ કક્ષાના વાહનો માટેના નંબરો ઇ-ઓક્શનથી ફાળવવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ આ કર્મીઓએ તે મુજબની કાર્યવાહી કરી ન હતી અને પોતાના લોગ-ઇન આઇડીમાં ડેટા રીવર્ટબેક કરી અને વેચાણ કીમતમાં સુધારો કરીને વસૂલ કરવાપાત્ર રકમને બદલે ઉચ્ચક કરની આકારણી કરવાની ગેરરીતિ કરી આર્થિક નુકશાન પહોંચાડ્યું છે જેને ધ્યાને લઇને પગલાં લેવાયાં છે.

ઇ-ઓકશન મારફતે નંબરોની ફાળવણીમાં અનિયમિતતા ઉપરાંત, વાહનોના રજીસ્ટ્રેશનમાં વાહન-૪ સોફ્ટવેરમાં કુલ-૧૮૪માંથી ૮૨ વાહનોનો કર ઓછો વસૂલ કરી તે પૈકી ૪૭ વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી અન્વયે કોઇપણ જાતની ચકાસણી કર્યા વગર એપ્રુઅલ આપવાની કામગીરી, વાહનોના વેરીફીકેશન અને એપ્રુઅલ કરતી વેળાએ વાહનોનો ઓછો કર દર્શાવી કર વસુલાતમાં સરકારને નાણાકીય નુકશાન કરવા જેવી ગેરરીતિઓ અને અનિયમિતતા આચરનાર આ કર્મીઓને ફરજ મોકુફી હેઠળ મૂકાયાં છે.

સાથે જ અપડેટ કરી સીસ્ટમ…

આવી ગેરરીતિ અટકાવવા માટે વાહન ૪.૦ સોફ્ટવેરમાં જે અધિકારી / કર્મચારીઓ યુઝર લોગઇન કરે છે તેની પદ્ધતિમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ આરટીઓ કચેરી અમદાવાદ, સૂરત અને વડોદરામાં સવારે ૧૦ કલાકથી રાત્રિના ૮ કલાક સુધી કર્મચારી કામગીરી કરી શકશે જ્યારે અન્ય તમામ કર્મચારીઓ સવારે ૧૦ કલાકથી રાત્રિના ૭ કલાક સુધી કામ કરી શકશે. જો કોઇ કર્મચારીને ઉપરોક્ત સમયથી વધારે સમય માટે કામ કરવું હોય તો જે તે કચેરીના વાહન ૪.૦ સોફ્ટવેરના એડમિનિસ્ટ્રેટર, જે તે કર્મચારી માટે નિયત સમય વધારી શકશે.

જે તે કચેરીના વાહન ૪.૦ સોફ્ટવેરના એડમીનીસ્ટ્રેટરે દરેક કર્મચારીના ડેટામાં જે તે કર્મચારીના આઇપી એડ્રેસની વિગતો દર્શાવવાની રહેશે. જે તે કર્મચારી ફકત તે જ કોમ્પ્યુટર સિસ્ટમ ઉપર કામ કરી શકશે. ઉપરાંત, જે તે કર્મચારીનો યુઝર આઇડી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ હશે તો તે દરમિયાન જ તે મોબાઇલ નંબર વાહન ૪.૦ સોફ્ટવેરમાં દર્શાવેલ હશે તે મોબાઇલ નંબર ઉપર જ કર્મચારીના દરેક વખતનાં યુઝર લોગઇન વખતે ઓટીપી આવશે અને તેની મદદથી કર્મચારી પોતાનું યુઝર આઇ.ડી. લોગઇન કરી શકશે. જેથી દરેક કચેરીના અધિકારીએ અથવા વાહન ૪.૦ સોફ્ટવેરના એડમિનિસ્ટ્રેટરે દરેક કર્મચારીના મોબાઇલ નંબરની વિગત તથા અનુમતિ ફરજિયાત રીતે મેળવી લેવાની રહેશે અને તેજ મોબાઇલ નંબરની વિગત કર્મચારીના યુઝરની વિગત સાથે દર્શાવવાની રહેશે.

વાહનવ્યવહાર કમિશનરની વડી કચેરી, ગાંધીનગર ઉપરાંત રાજ્યની તમામ આરટીઓ અને ચેકપોસ્ટ ઉપર ફરજિયાત તમામ કર્મીઓ પોતાની ફરજો નિષ્પક્ષ અને તટસ્થપણે બજાવે તે માટે આવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમ વધુમાં જણાવાયુ છે.