લોકસભા ચૂંટણી સ્પેશિયલઃ ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ના વિરોધમાં ‘બેરોજગાર હાર્દિક પટેલ’

અમદાવાદ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદરેલી ‘મૈં ભી ચોકીદાર’ ઝુંબેશને ગુજરાતના કોંગ્રેસી અને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે વળતો જવાબ આપ્યો છે. એમણે પોતાના ટ્વિટર હેન્ડલના નામની આગળ ‘બેરોજગાર’ શબ્દ ઉમેર્યો છે અને તે નામ આ રીતે વંચાય છેઃ ‘બેરોજગાર હાર્દિક પટેલ’.

ચૂંટણીની મોસમમાં ભાજપની વ્યૂહરચના સામે હાર્દિક-ગુજરાત કોંગ્રેસે પોતાની રણનીતિ અપનાવી છે.

હાર્દિક આ મહિનાના આરંભમાં જ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

એક ટ્વીટમાં, પટેલે કહ્યું છે કે પોતે દેશભરમાં કોંગ્રેસના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. આગામી ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે એવો વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો છે.

પટેલે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રમાં કોંગ્રેસ ફરી સત્તા હાંસલ કરશે અને પક્ષપ્રમુખ રાહુલ ગાંધી વડા પ્રધાન બનશે.

પટેલે આ મહિનાના આરંભમાં અમદાવાદમાં, રાહુલ અને એમના બહેન પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. એમણે ગુજરાતના જામનગરમાંથી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પણ કહ્યું છે કે આખરી નિર્ણય પક્ષનું મોવડીમંડળ લેશે.