નવરાત્રિ પહેલાં યુદ્ધના ધોરણે આ સ્થળોના માર્ગો દુરસ્ત કરી દેશે સરકાર

ગાંધીનગર-ચોમાસાના વરસાદમાં વ્યાપક પ્રમાણમાં રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોટાપાયે ઉપયોગમાં આવનારા માર્ગોને યુદ્ધના ધોરણે નવરાત્રિ પહેલાં દુરસ્ત કરી દેવામાં આવશે.

આ અંગે  નાયબ મુખ્યપ્રધાન- માર્ગમકાનપ્રધાન નિતીન પટેલે જણાવ્યું છે કે, માર્ગ સુવિધાના નેટવર્ક ક્ષેત્રે ગુજરાતે દેશમાં સારી પ્રતિષ્ઠા મેળવી છે ત્યારે આ વર્ષના ચોમાસામાં ભારે વરસાદથી જે રસ્તાઓ બિસ્માર થયાં છે તે રસ્તાઓને રાબેતા મુજબ વાહન વ્યવહાર થઇ શકે તે માટે નવરાત્રિ પહેલા પૂર્વવત કરી દેવાશે.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, વરસાદને કારણે તેમ જ પૂરના પાણી રસ્તાઓ પરથી પસાર થવાના કારણે માર્ગોને કરોડો રૂપિયાનું નૂકસાન થયુ છે. તે રસ્તાઓ પરના નાળા/પુલોને પણ ભારે વરસાદને કારણે નુકશાન થયેલ છે. એ રસ્તાઓ તથા નાળા/પુલો પણ પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, સ્ટેટ હાઇવે, જિલ્લા માર્ગોને તથા અન્ય ગ્રામ્ય માર્ગોને પણ નુકસાન થયુ છે, તેમાં જે ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અગ્રીમતાના ધોરણે મરામત કરીને વાહનવ્યવહાર પૂર્વવત થાય એ રીતે કામ કરવાનું શરૂ કરી દેવાયું છે.

નાગરિકોને સુવિધા આપવા માટે માર્ગો પર જે નૂકશાન થયું હોય અને ધોવાણ થયું છે તે તમામ માર્ગો પર માટી કામ, મેટલ કામ અને ડામર પેચ વર્કના કામો શરૂ કરી દેવાયા છે. જે સત્વરે પૂર્ણ કરાશે. ઉપરાંત આગામી સમયમાં વરસાદ ન પડે, ઉઘાડ નિકળે અને અનૂકુળ પરિસ્થિતિ રહે તો માર્ગ-મકાન વિભાગ દ્વારા હોટ મીક્સ પ્લાન્ટ શરૂ કરાવીને પેવરથી ડામર પેચવર્કના કામો સત્વરે યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે.

જે માર્ગો પર મોટા પ્રમાણમાં નુકશાન થયું છે તે માટે કાર્પેટીંગની જરૂરીયાત માટે અલગથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આ કામો પણ સત્વરે પુરા કરાશે. રાજ્યના માર્ગોને પ્રાથિક અંદાજ મુજબ રૂા. ૫૦ કરોડથી વધુનું નુકશાન થયુ છે તે તમામ કામો ઝડપથી પૂર્ણ કરાશે.