કાં તો પ્લાસ્ટીક રિ-યુઝ કરો, કાં તો રિફ્યુઝ કરોઃ અમદાવાદમાં શરૂ થઇ ઝુંબેશ

અમદાવાદઃ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના પોતાના પ્રયાસો ચાલુ રાખીને એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મર દ્વારા અમદાવાદમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની સાથે સાથે રિસાયકલ થઈ શકે નહી તેવા પ્લાસ્ટિકના વપરાશને કારણે પર્યાવરણને થતા નુકશાન અંગે જાગૃતિ પેદા કરવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે.

આ ગ્રીન પ્રતિજ્ઞા અને ઝુંબેશ હાથ ધરવાની સાથે સાથે અદાણી વિલ્મર 20મા વર્ષમાં પ્રવેશી રહી છે. આ  પ્રસંગે ‘પ્લાસ્ટિકનો ફેરવપરાશ કરો અથવા ત્યાગ કરો’ ની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ 21 દિવસ સુધી ચલાવશે. આ ઝુંબેશના પ્રથમ દિવસે ૪૦૦ કર્મચારીઓએ આશરે 152 કિલો પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું.

કંપનીના એમડી અને સીઈઓ ટી.કે. કન્નને જણાવ્યું છે કે”એક જવાબદાર કંપની તરીકે અમે પર્યાવરણ સુરક્ષા માટે કટિબધ્ધ છીએ .અમે પ્લાસ્ટિકનો  વપરાશ ઘટાડવા માટે પગલાં શરૂ કરી દીધાં છે અને સાથે સાથે પ્લાસ્ટિકનુ રિસાયકલિંગ પણ વધારી રહ્યા છીએ. અમે પ્લાસ્ટિક સામેની ઝુંબેશ વડે લોકોમાં જાગરૂકતા પેદા કરવા માટે  7 ડિસેમ્બરથી પ્લોગીંગ પ્રવૃત્તિ હાથ ધરી રહ્યા છીએ. આ ઝુંબેશમાં અમારા 400થી વધુ કર્મચારીઓ સામેલ થશે.”

આ ઝુંબેશમાં સામેલ થનાર તમામને હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ માસ્ક, એપ્રન અને વેસ્ટ કલેકશન બેગ્ઝ સાથેની યુટિલીટી કીટ ફાળવવામાં આવશે. એકત્ર કરવામાં આવેલા પ્લાસ્ટિકને અધિકૃત રિસાયકલરને ત્યાં રિસાયકલિંગ માટે મોકલી આપવામાં આવશે.

કન્નને એમ પણ જણાવ્યું હતું કે પ્લોગીંગ એ એક દિવસની કે એક સમારંભ પૂરતી પ્રવૃત્તિ બની રહેશે નહી, પણ તેનુ સંચાલન 21 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. અમને લાગે છે કે કર્મચારીઓમાં આસપાસના વિસ્તારને  સ્વચ્છ રાખવા માટેની ટેવ કેળવવા માટે આટલો સમય પૂરતો થઈ પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં આ પ્રવૃત્તિ માત્ર અમદાવાદમાં હાથ ધરવામાં આવશે અને ક્રમશઃ તેનો અન્ય શહેરોમાં વિસ્તાર કરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રવૃત્તિ વડે અમે કર્મચારીઓમાં અને છેવટે તો જન સમુદાયમાં આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવા અંગે ટેવ કેળવવા  પ્રયાસ કરી રહ્યા છીએ.