ગણેશજીની મૂર્તિને લઈ જતાં 7 યુવકોને લાગ્યો વીજ કરંટ, 2નાં મોત, 5 ગંભીર

અંકલેશ્વર- ગણેશ ચતુર્થીના ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ઠેર ઠેર ગણેશ ઉત્સવની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.  પરંતુ અંકલેશ્વરમાં વિઘ્નહર્તાને ઉત્સાહભેર આંગણે બોલાવતા પહેલા જ ગણેશ મંડળના યુવકો પર વિઘ્ન આવી પડ્યું, જેમાં 2 યુવાનોના મોત થયાં છે, જ્યારે 5ની હાલત ગંભીર છે.

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ અને ગણેશ મંડળના યુવાનો નેશનલ હાઈવે પાસે આવેલા આદર્શ માર્કેટ નજીક 26 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા એક લારીમાં લઈ આવી રહ્યાં હતાં તે સમયે ગણેશજીની પ્રતિમાને રસ્તા ઉપર જતો વીજ વાયર અડકાતા યુવાનોએ વીજ તારને ઊંચો કરવા એક વાંસનો ઉપયોગ કર્યો, જેવો વાંસથી વીજ તાર ઊંચો કર્યો તે સમયે વાંસને પકડીને ઉભેલા યુવાનોને કરંટ લાગતા યુવાનો રસ્તા પર ઢળી પડ્યા હતાં.
વીજ કરંટ લાગતા 2 યુવાનોના મોત થયા છે, જ્યારે 5 યુવાનો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ સમયે અન્ય યુવાનો પણ તેમની સાથે હતા, તરત લોકોએ તેમને બચાવવા માટે હાથેથી તેમની છાતી પુશ કરીને તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તમામ યુવાનો બેહોશ અવસ્થામાં પડ્યાં હતાં. અન્ય યુવાનો અને સ્થાનિકોએ ભેગા થઈ પ્રાઈવેટ કારમાં તેમને મુકી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં હતાં.