ઇશરત કેસઃ અમીને કોર્ટમાં કહ્યું સીબીઆઈની તપાસ બોગસ

અમદાવાદ– અતિચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં એન કે અમીનની ડીસ્ચાર્જ અરજી પર શનિવારે સુનાવણી હાથ ધરાઇ હતી,  પોતાનો પક્ષ રજૂઆત કરતાં એન કે અમીને CBI કોર્ટમાં જણાવ્યું કે સીબીઆઇએ કરેલી તપાસ બોગસ છે. અને તપાસમાં છેડછાડ કરવામાં આવી છે.સીબીઆઇ કોર્ટને કરેલી અરજીમાં ગંભીર આક્ષેપ કરતાં એન કે અમીને જણાવ્યું કે IPS સતીષ વર્માએ કેસમાં પૂરાવા સાથે છેડછાડ કરી છે. સીબીઆઇએ કરેલી તપાસ બોગસ છે. આ કેસમાં આઇ કે ચૌહાણને સાક્ષી બનાવવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર વાજબી જ હતું. અમીને કરેલી આ રજૂઆત સાથે કોર્ટમાં સમગ્રમાં એન કે અમીન તરફની દલીલો પૂર્ણ થઇ છે.

એન કે અમીનના આરોપોને પગલે સીબીઆઈએ કોર્ટ પાસે વધુ સમય માગી લીધો હતો. સીબીઆઈ કોર્ટમાં અમીનના આરોપો અંગે જવાબ રજૂ કરવા માટે માગવામાં આવેલાં સમયને કોર્ટે ગ્રાહ્ય રાખી આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી હતી. હવે આ કેસમાં આગામી સુનાવણી 15મી મેના રોજ કરવામાં આવશે.