અમદાવાદ લઠ્ઠાકાંડ કેસઃ કોર્ટે 6 આરોપીને દોષિત જાહેર કર્યા

અમદાવાદઃ વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો છે. જેમાં 39 માંથી 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે તમામ 6 આરોપીને સજા સંભળાવી છે જેમાં ત્રણેય પુરુષ આરોપીઓને 10 વર્ષની જેલની સજા અને રૂપિયા 50 હજારનો દંડ અને ત્રણેય મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સ્પેશિલ સેશન્સ કોર્ટે આજે શનિવારે વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ અંગે ચૂકાજો જાહેર કર્યો છે. કોર્ટ દ્વારા મુખ્ય સુત્રધાર વિનોદ સહિત કુલ છ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જેમાં ત્રણ મહિલા નંદાબહેન, મીનાબહેન અને જશી બહેન ઉપરાંત ત્રણ પુરુષમાં વિનોદ ડગરી, જયેશ અને અરવિંદનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટે 39 આરોપીઓમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે બાકીના 33 આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. ત્રણ આરોપીને 304 હઠેળ અને ત્રણ મહિલાને પ્રોહીબિશન હેઠળ દોષિત જાહેર કર્યા છે.

લઠ્ઠાકાંડ દોષિત આરોપીઓને સજાનું એલાન

1- વિનોદ ઉર્ફે ડગરી ચંદુભાઇ ચૌહાણ: 10 વર્ષની જેલની સજા, 50 હજાર દંડ

2- જયેશ હિરાલાલ ઠક્કર: 10 વર્ષની જેલની સજા, 50 હજાર દંડ

3-અરવિંદ તળપદા : 10 વર્ષની જેલની સજા, 50 હજાર દંડ

4-નંદાબેન ઘનશ્યામભાઇ જાની: 3.5 વર્ષની જેલની સજા અને 2500 દંડ

5-જસીબેન વિજયભાઇ ચુનારા: 3.5 વર્ષની જેલની સજા અને 2500 દંડ

6-મીનાબેન મનજતસીંગ રાજપુત: 3.5 વર્ષની જેલની સજા અને 2500 દંડ

 

ઉલ્લેખનીય છેકે વર્ષ 2009માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દેશી ખરાબ દારૂ એટલે કે લઠ્ઠો પીવાથી માણસો ટપોટપ મરવા લાગ્યા હતા. ઓઢવમાં લઠ્ઠાકાંડ થવાથી કુલ 123 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં 33 લોકોની ધરપકડ તે સમયે કરવામાં આવી હતી. આ કેસમાં 650 જેટલા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. અગાઉ કોર્ટે કાગડાપીઠ લઠ્ઠાકાંડમાં ચુકાદો આપ્યો હતો, જેમાં 10 આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને 8 જેટલા લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.