ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સાબરમતીમાં ગંગાપૂજનવિધિ સંપન્ન, 15 દિ’ મોસાળ મહાલશે ભગવાન

અમદાવાદ– ભગવાન જગન્નાથજીની 2019માં અષાઢી બીજે યોજાનાર રથયાત્રાની જુદીજુદી વિધિઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ શ્રેણીમાં આજે જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રા યોજવામાં આવી છે.સાબરમતી નદીમાં સ્વચ્છતા ઝૂંબેશને લઇને પટ ખાલી હતો તેથી જળયાત્રા સંદર્ભે ભગવાન જગન્નાથજી મંદિરના સંચાલકો દ્વારા ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે નદીમાં નર્મદા નીર છોડવામાં આવ્યાં હતાં. તેથી આજે સવારે જળયાત્રા રંગેચંગે યોજવામાં આવી છે.સાબરમતીમાંથી જળ ભરી લાવવાની પરંપરાગત વિધિમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ભગવાન માટે જળ ભરાવવાની ગંગાપૂજન વિધિમાં ભાગ લીધો હતો.

આજે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ રહેવા જશે. અમદાવાદનાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે પૂનમના દિવસે જળયાત્રામાં 15 ગજરાજ,108 ધજા, 600 ધજા પતાકા, અખાડા, નૃત્યમંડળી તથા રાસમંડળી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવાની વિધિમાં ભાગ લીધો હતો.. સોમનાથ ભૂદરના આરેથી 108 ઘડામાં જળ ભરવામાં આવ્યું હતું.

સવારે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવશે. ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ ગજવેશ ધારણ કરાવાય છે. મંદિરમાં ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી

આજે ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાય તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ યોજાશે. સાંજે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને વાજતેગાજતે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરશે..17મી જૂનથી 2 જૂલાઇ દરમિયાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિરમાં પણ ભકતજનો દ્વારા ખાસ કરીને બહેનો દ્વારા ભજનધૂનના ભકિત કાર્યક્રમો જામશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યાં બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ જ દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે નગરજનોના ખબરઅંતર જાણવા નગરયાત્રાએ પધારશે જે રથયાત્રામાં શહેરીજનો ઉમળકાભેર ભાગ લે છે.