NA થવાથી અમદાવાદ અને ગાંધીનગરમાં અધધ જમીન ઓછી થઇ

ગાંધીનગર- વિધાનસભાના મહેલૂલવિભાગ સંબંધિત મહત્ત્વના કેટલાક પ્રશ્નો સોમવારે પૂછવામાં આવ્યાં હતાં. જેના મહેસૂલપ્રધાન કૌશિક પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યાં હતાં. જમીન માપણી રેકોર્ડ, રીસર્વે અને ભૂમાફિયાઓને લગતાં પ્રશ્નોના જવાબ કૌશિક પટેલે આપ્યાં હતાં.જમીન માપણી રેકોર્ડ સંબંધે 4,134 ફરિયાદ

સરકારે જણાવ્યું કે રીસર્વેની કામગીરીમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાતની જમીન રી-સર્વેની પારદર્શક કામગીરી ઉપરથી દેશના અન્ય ૧૪ રાજ્યોએ તેનું અનુકરણ-અભ્યાસ કર્યો છે.જમીન રી-સર્વેની કામગીરીમાં અન્યાય જણાય તો ખેડૂતો આ સંદર્ભે ફરીથી અરજી કરી શકે છે, જ્યાં સુધી ખેડૂતને સંતોષ ન થાય ત્યાં સુધી તેને અંતિમ સ્વરૂપ નહીં અપાય, તેમ આજે વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખાતરી આપી હતી.

સરકારના જણાવ્યાં પ્રમાણે ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં તા.૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જમીન રી-સર્વેની કામગીરીમાં માપણી રેકર્ડમાં ક્ષતિઓ અંગેની અનુક્રમે ૪,૧૨૨ અને ૧૨ ફરિયાદો મળી હતી. આ તમામ ૪,૧૩૪ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યુ છે. કોંગ્રેસની સરકાર વખતે ૨૦૧૦માં જમીન માપણીના આધુનિક રેકોર્ડ માટે નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ અમલી બનાવ્યો છે. જેમાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતે નોંધનીય કામગીરી કરી છે. રાજ્યમાં જમીન રી-સર્વે અંગેની ૯૮ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. આ નવીન પદ્ધતિથી ખેડૂતોને તેમની જમીનની હદ, માપ, નકશો અને ગેરકાયદેસર દબાણો દૂર થયા છે. ડિજિટલ રેકોર્ડથી જમીન સર્વેમાં પારદર્શિતા અને અપડેશન થયું છે.

જમીન ભૂમાફિયાઓ સામે કડક પગલાં

મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું વિધાનસભાને જણાવ્યું કે, ગેરકાયદે નદી પટનો કબજો કરતા ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. સરકારે ૨૦૦૮માં જમીન તકેદારી સમિતિ-સીટની રચના કરી છે. ૨૦૦૮માં રાજ્ય સરકારને ગેરકાયદે જમીનો હડપ કરવાનાના કિસ્સા ધ્યાનમાં આવતા સીટની રચના કરાઇ હતી અને ૨૦૧૦થી જિલ્લાકક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિ કાર્યરત છે.

આણંદ અને વડોદરા જિલ્લામાં જમીન તકેદારી સમિતિમાં મળેલી ફરિયાદ અંતર્ગતછેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ૫૧ અને વડોદરા જિલ્લામાં ૬૮ ફરિયાદો સમિતીને મળી છે જેમાંથી આણંદ જિલ્લામાં ૪૪ અને વડોદરા જિલ્લામાં ૫૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.ફરિયાદ અંતર્ગત તથ્ય જણાયેલ આણંદ જિલ્લામાં ૧ કેસમાં અને વડોદરા જિલ્લામાં ૭ કેસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આણંદ અને વડોદરા જિલ્લામાં સમિતિ દ્વારા થયેલ કાર્યવાહીના સંદર્ભમાં ૮૫૪ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમ જ ૨૩૨ની અટકાયત કરવામાં આવી છે.

શહેરીકરણથી જમીનો  એમઓયુમાં ફેરવાઇ છે  

મહેસૂલપ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં ઝડપી વિકાસ અને શહેરીકરણને લીધે જમીનો એનએમાં ફેરવવામાં આવી છે. તેમ જ ખેતી માટે વીજળી, ટપક સિંચાઇ, ઓજારો જેવી સહાય કરી ખેત ઉત્પાદન વધુને વધુ થાય તેવા પ્રયાસોના ભાગરૂપ છેલ્લા વીસ વર્ષમાં ખેત ઉત્પાદન અનેકગણું વધ્યું છે તેમ જ જમીનોને નવસાધ્ય પણ કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેતીની જમીન એન.એ.કરવા અંતર્ગત  ૨૦૧૬માં અમદાવાદ જિલ્લામાં ૧,૨૫,૬૨,૭૮૪ ચો.મી. અને ગાંધીનગર જિલ્લામાં ૧૭,૦૫,૧૭૬ ચો.મી. તેમજ ૨૦૧૭માં અનુક્રમે ૧,૦૬,૦૭,૦૯૫ અને ૨૪,૪૬,૧૭૧ ચો.મી.જમીન એન.એ.માં ફેરવવામાં આવી છે. એન.એ.માં ફેરવવાથી અમદાવાદ જિલ્લામાં ૨,૩૧,૬૯,૭૮૯ ચો.મી અને ગાંધીનગર જિલ્લામાં ૪,૧૫,૧૩,૩૪૭ ચો.મી.જમીન ઓછી થઇ છે.

મહેસૂલપ્રધાને જણાવ્યું કે, એન.એ.ની પ્રક્રિયા સરળ થાય તે માટે રાજ્ય સરકારે અનેક પ્રયત્નો કર્યા છે તેમાં અગાઉ ૨૭ જેટલી બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી. જે આજે માત્ર ૬ જેટલી બાબતો ના-વાંધાપ્રમાણપત્ર સાથે સરળતાથી અરજદારની અરજીનું એન.એ. કરવામાં આવે છે.