અમદાવાદઃ મૂર્તિઓ પધરાવવા રિવરફ્રન્ટ પર કૂંડ તૈયાર

અમદાવાદ- અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ પર હાલ મૂર્તિઓ પધરાવવાના એકદમ નવા જ કૂંડ મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઇ રહ્યા છે. ચોમાસાની શરુઆતની સાથે જ વ્રત- ઉત્સવો અને તહેવારોની શરુઆત થઇ જાય છે. આજે દશામાના વ્રતનું સમાપન હોવાને લઇને તંત્ર પણ નદીને પ્રદૂષણથી બચાવવા આ રીતે સજ્જ થઈ ગયું છે.

આ ઉત્સવોની ઉજવણી દરમિયાન લોકો પોતાની શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં મૂર્તિઓ મુકી પૂજા કરતા હોય છે. ધાર્મિક ઉત્સવની ઉજવણી પૂરી થાય એટલે મૂર્તિને નજીકના જળાશયમાં પધરાવી દેવાય. પહેલા અમદાવાદીઓ ગણેશ ઉત્સવ કે અન્ય તહેવારોમાં મૂર્તિઓ કાંકરિયા તળાવ કે સાબરમતીમાં જ્યાં પાણી દેખાય ત્યાં પધરાવી દેતા હતા.

પણ હવે તંત્ર દ્વારા જળાશયોમાં મૂર્તિ અને અન્ય સામગ્રી નો ભરાવો ના થાય હેતુ થી અલાયદી વ્યવસ્થા કરાય છે.  ધાર્મિક ઉત્સવોની ઉજવણી પછી મૂર્તિઓ પધરાવવા સ્પેશિયલ કૂંડ તૈયાર કરાય છે. આવનારા દિવસોમાં દશામા, ગણેશ ઉત્સવ જેવા તહેવારોની ઉજવણી બાદ મૂર્તિ પધરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

અ.મ્યુ.કો ના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે… નદી  કિનારે આવતા વોર્ડ પ્રમાણે  જરુરિયાત પ્રમાણેના કુંડ તૈયાર કરવામાં આવશે. હાલમાં ત્રણ કુંડતો તૈયાર કરી દેવામાં આવ્યા છે. મૂર્તિ અને તમામ સામગ્રી નિષ્ણાત માણસોની ઉપસ્થિતિમાં જ કૂંડમાં પધરાવી દેવામાં આવશે,જેથી જળાશયોમાં કોઇપણ પ્રકારની વધારાની સામગ્રી જાય નહીં.

તાજેતરમાં જ સાબરમતીમાં નર્મદા અને ઉપરવાસમાંથી તેમજ વરસાદી નવાનીર આવી ગયા છે. નદી  અને કાંઠાનું સૌંદર્ય જળવાઇ રહે એ હેતું થી કૂંડ માં જ દશામાં જેવા ઉત્સવો બાદ આવતી મૂર્તિઓ પધરાવી દેવામાં આવેશે…

પ્રજ્ઞેશ વ્યાસ