સાબરમતીના તીરે પુસ્તકોનો મેળાવડોઃ દસ દિવસ શબ્દોની મહેફિલ જામશે

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સતત 8મા વર્ષે આયોજીત અમદાવાદ નેશનલ બુક ફેરને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો. તેમજ ફ્લોટીંગ લાયબ્રેરીનું નવું નજરાણું  શહેરીજનોને ભેટ ધર્યું હતું. જેના દ્વારા શહેરના નાગરિકો રિવરફ્રન્ટની આહલાદકતા વચ્ચે પુસ્તક વાંચનનો આનંદ ઉઠાવી શકશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પરમાત્માનું સરનામુ આત્મા અને હ્દય છે તો સંસ્કૃતિનું સરનામુ પુસ્તક છે. પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે. મિત્રો તો સ્વાર્થી હોઇ શકે પરંતુ પુસ્તક માનવીને હરહંમેશ જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપવા સાથે માનવજીવનને ઉર્ધ્વગામી બનાવે છે. આજના સોશિયલ મિડીયા, ઇ-બુક્સ અને ઇન્ટરનેટ-વેબસાઇટના યુગ માં પણ પુસ્તકોનો સાથ ન છૂટવો જોઇએ.

વિજયભાઇએ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ઠી જેવા ઉપક્રમોથી  હોલીસ્ટીક લીટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગાંધીજીએ રસ્કીનના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. નેલ્સન મંડેલાએ ગાંધીજીના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી હતી. આમ, પુસ્તકો જ માનવીની  પ્રગતિ માટે પ્રેરણારૂપ બની રહે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે થયેલ કાર્બન ન્યુટ્રલ વિઝન ડોક્યુમેન્ટથી શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાનો રોડમેપ તૈયાર થવા સાથે અમદાવાદ રહેવા અને માણવા લાયક શહેર બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે જણાવ્યું કે, પુસ્તક જ જ્ઞાનનો ફેલાવો કરી શકે છે. પુસ્તક તમારી પાસે હોય તો તમે એકલતા અનુભવી શકતા નથી. પુસ્તક શાંતિ અને શાતા આપે છે.

મ્યુનિસિ૫લ કમિશનર શ્રી વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદ મહાનગરપાલિકા પાણી, રસ્તા, ગટર જેવી મૂળભૂત સેવા ઉપરાંત પરિવહન, સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ સાથે પુસ્તક મેળા જેવી આનુષાંગિક સેવાઓ નગરજનોને પૂરી પાડે છે.