6 કરોડ 59 લાખના ખર્ચે નવી RTO કચેરી અહીં ખુલશે

ગાંધીનગર- વાહન વ્યવહાર રાજ્યપ્રધાન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે, આણંદ જિલ્લાના નાગરિકોને આરટીઓની. કામગીરી માટે સુગમતા રહે તે માટે ચીખોદરામાં રૂ.659 લાખના ખર્ચે નવીન કચેરીનું નિર્માણ કરાશે. જે કામો પ્રગતિ હેઠળ છે અને આગામી જૂન સુધીમાં લોકાર્પણ કરવાનું આયોજન છે.

વિધાનસભા ખાતે આણંદ આર.ટી.ઓ. કચેરીમાં ઓવરલોડ વાહનોના કેસ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રધાને જણાવ્યું કે, આણંદ આર.ટી.ઓ. કચેરી દ્વારા વર્ષ-૨૦૧૬-૧૭માં ૨૬૭ ઓવરલોડ વાહનો સામે કેસ કરીને રૂ.૧૦.૧૨ લાખ નો દંડ વસુલ કરાયો છે. ઉપરાંત ઓવરલોડ ડાયમેન્શન પેસેન્સજર બસ, ખાનગી વાહનોમાં પેસેન્જર ભરવા, સીટ બેલ્ટ ન બાંધવા, હેલ્મેટ વગર વાહન ચલાવવા, ડ્રાયવીંગ લાયસન્સ વીના વાહન ચલાવવું જેવા વિવિધ  ગુનાઓ સામે ૬૯૮૯ કેસો કરીને રૂ.૧૩૧.૦૬ લાખનો દંડ વસુલ કરાયો છે. ઓવરલોડ વાહનો ચેકીંગ કરવાની સત્તા સહાયક મોટર વાહન નિરીક્ષક અને પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. ઓવરલોડ વાહનોના ચેકીંગ માટે ફલાઇંગ સ્કવોર્ડ અને આર.ટી.ઓ. સ્કવોર્ડ દ્વારા ખાસ ચેકીંગ ઝૂંબેશ દ્વારા ક્રોસ ચેકીંગની કામગીરી રાબેતા મુજબ કરવામાં આવે છે.