અંબાજીઃ ભક્તિની સાથે આંખને શીતળતા પ્રદાન કરતું સૌંદર્ય

અંબાજીઃ ફોટામાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અંબાજી ગબ્બરના. વરસાદ આવ્યાં બાદ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગબ્બરની આસપાસ રહેલા જંગલના વિસ્તારને જોતાં આંખોને અનેરી શીતળતા પ્રાપ્ત થાય છે. લીલી વનરાઈ, ખીલેલી પ્રકૃતિ અને પાછો ઋતુએ પાથરેલો પોતાનો એક અલગ મિજાજ ખરેખર દિવ્ય અનુભૂતિ કરાવે છે. માતાજીના ગબ્બર પર જ્યારે પહોંચીએ ત્યારે વાદળાં તો એટલા નજીક હોય છે હાથ ઉંચો કરીએ તેને સ્પર્શી શકાય. આવું અદભૂત કુદરતી સૌંદર્ય અત્યારે અંબાજી ગબ્બર પર નીહાળી શકાય છે. ચોમાસાના વાતાવરણમાં ખીલેલી આ વનરાજીથી મન પણ રાજી થઈ રહ્યું છે.

ગબ્બર પર માતાજીના દર્શન કરવા જતા હોય અને એમાં પણ આ પ્રકારનું અદભૂત વાતાવરણ મળે એટલે તો આ સૌંદર્યને મનભરીને માણવાની ઈચ્છા થાય. આ પ્રકારના વાતાવરણમાં માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. પ્રકૃતિનો આનંદ હોય અને એમાં જ્યારે ભક્તિ ભળે ત્યારે એક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે. અને આ જ પ્રકારની અનુભૂતિ ગબ્બર પર માતાજીના દર્શન કરવા આવતા ભક્તોને થઈ રહી છે. જગદંબાના સાંનિધ્યમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અને એટલા માટે જ માતાજીના દર્શનનો અને તેની ભક્તિનો આનંદ પણ બમણો થઈ જાય છે. પ્રકૃતિની શીળતા બીજી શીતળતા માના દર્શન કરવાની. આ પ્રકારની બેવડી શીતળતા પ્રાપ્ત થાય એટલે સઘળુ પામી લીધાની અનુભૂતિ થાય છે.

અહેવાલ-હાર્દિક વ્યાસ તસવીરો-પ્રજ્ઞેશ વ્યાસ