ગાંધીનગર- રાજ્યના સરકારી શિક્ષણવિભાગમાં દાયકાઓથી હજારો જગ્યા ખાલી બોલી રહી છે ત્યારે સરકારે નવી ભરતી તરફ આગળ વધતાં ખાનગી શાળાઓમાં વિવિધ કેડરની ભરતી માટે 6,850 જગ્યાની ભરતીની મંજૂરી આપી છે. આ ભરતીમાં મદદનીશ શિક્ષકો અને આચાર્ય ભરતીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પ્રાથમિકતા છે ત્યારે બિનસરકારી ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ કેડરની ૬.૮૫૦ જગ્યાઓ પુન:જીવિત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આટલી જગ્યાઓ પર સત્વરે નિમણૂકો કરાશે.
તેમણે જણાવ્યું કે રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભો આપવા સમયે ખાલી રહેલ જગ્યાઓ રદ કરવાની શરતે, આ લાભો મંજૂર કરાયા હતાં. પરંતુ, શિક્ષણ ક્ષેત્રે મહત્વની આ જગ્યાઓ ભરવી અનિવાર્ય હોઇ, રાજ્ય સરકારે આ જગ્યાઓ પુન: જીવિત કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં, આચાર્યોની ૧,૫૬૬, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક) ની ૨,૯૧૫, ઉચ્ચતર માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની ૨,૩૬૯ મળી કુલ-૬૮૫૦ જગ્યાઓ પુન: જીવિત થશે. જેના પર હવે નિમણૂંકો અપાશે.