કેવડીયાના 6 ગામોના અસરગ્રસ્તોને મળશે જમીનના બદલામાં જમીન

ગાંધીનગર- કેવડીયા કોલોની ખાતેના છ ગામ તથા ગરૂડેશ્વર વિયર ડેમના કારણે ડૂબમાં જતા 7 ગામના અસરગ્રસ્તોને વિશેષ સહાય પેકેજ આપવામાં આવશે. નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગે આ મામલે મહત્વનો નિર્ણય લીધો છે.વિશેષ સહાય પેકેજ હેઠળ જે ખાતેદારો જમીનને બદલે જમીન લેવા માંગતા હોય તેમને જમીન ફાળવણી કરવામાં આવશે. ઉપરાંત જે ખાતેદારો હેકટરદીઠ રૂ.૭,પ૦,૦૦૦નું વળતર લેવા માંગતા હોય તેમને રોકડ વળતર આપવામાં આવશે.

આ ગામોના અસરગ્રસ્તોને અપાયેલ પેકેજનો લાભ રાજ્ય સરકારના ર૮/૧૧/ર૦૧૩ અને ૬/૧/ર૦૧પના ઠરાવોની જોગવાઈઓ અંગે પુનઃ વિચારણા કરીને ઉપર મુજબ ફેરફાર કરી નર્મદા અને જળસંપત્તિ વિભાગે લાભ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉના ર૮/૧૧/ર૦૧૩ અને ૬/૧/ર૦૧પની પેકેજ સંબંધી ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે.

નોંધનીય છે કે, હાલમાં આ ગામોને જૂના ઠરાવની જોગવાઈઓ મુજબ પેકેજનો લાભ આપવામાં આવતો હતો. પરંતુ આ ગામના અસરગ્રસ્તોએ રોકડ વળતરની જગ્યાએ જમીનના બદલે જમીન આપવામાં આવે તેવી માગણી કરી હતી. જેથી હવે આ અસરગ્રસ્તોને સરદાર સરોવર નર્મદા નિગમની લેન્ડ બેન્કમાંથી જમીન આપવામાં આવશે.