લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે શરુ કરી ઉમેદવારોની શોધ

અમદાવાદઃ 2019ના વર્ષમાં થનારી લોકસભા ચૂંટણીને જોતા કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની શોધ શરુ કરી દીધી છે. આના માટે પાર્ટીના સ્થાનીક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આ મામલે સૌરાષ્ટ્ર અને કચ્છના કોંગ્રેસના નેતાઓ સાથે 7 લોકસભા સીટોને લઈને વાતચિત કરી હતી. આ સીટો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને કચ્છ છે.

આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ખાતુ નહોતી ખોલી શકી અને બીજેપી શાસિત પ્રદેશમાં તમામ 26 લોકસભા સીટો પર હારી ગઈ હતી. જો કે ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો આવ્યો હતો. પાર્ટીએ વિધાનસભાની 182 સીટો પૈકી 77 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. આવામાં કોંગ્રેસને આશાઓ છે કે થોડા મહિના બાદ થનારી લોકસભા ચૂંટણીમાં તે સારી સીટો પ્રાપ્ત કરી શકે છે.

અમિત ચાવડાએ એ તમામ કોંગ્રેસના ઉમેદવારો સાથે વાત કરી કે જે 2014ની લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સીટ પર હારી ગયા હતા. આ સીવાય પાર્ટીના જિલ્લા અને તાલુકા અધ્યક્ષ સહિત આ ક્ષેત્રના 30 ધારાસભ્યો સાથે વાત કરી હતી. અમિત ચાવડાએ સ્થાનિક નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી અને દરેક લોકસભા ક્ષેત્રમાં પાર્ટીની સ્થિતી વિશે જાણકારી પ્રાપ્ત કરી.

આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર રીજન બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને પછી દક્ષિણ તેમજ મધ્ય ગુજરાત પર ચર્ચા કરવામાં આવશે. જો કે આ મીટિંગમાં ગુજરાત વિધાનસભાના નેતા પરેશ ધાનાણી અને ગુજરાતના કોંગ્રેસ મહાસચિવ રાજીવ સત્વ નહતા જોડાયા.

અખિલ ભારતીય કોંગ્રેસ કમીટી મધ્ય પ્રદેશના સચિવ જિતેન્દ્ર બઘેલને સૌરાષ્ટ્ર ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ તેઓ પણ મીટિંગમાં જોડાયા નહોતા.