121 ખાનગી ટેકનિકલ કોલેજોને ફી વધારો આપ્યોઃ શિક્ષણપ્રધાન

ગાંધીનગર– શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ટેકનીકલ શિક્ષણ અભ્યાસક્રમોમાં સરકારી તેમજ અનુદાનિત સંસ્થાઓમાં ફી વધારો કરવામાં આવ્યો નથી જ્યારે સ્વનિર્ભર ૫૭૪ કોલેજોમાંથી ૧૨૧ સંસ્થાઓમાં રાજ્ય સરકારે વ્યાજબીપણું ચકાસી ફી વધારો આપવામાં આવેલ છે. ટેકનિકલ શિક્ષણ અભ્યાસક્રમોમાં ફી વધારા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પ્રશ્નના ઉત્તરમાંતેમણે જણાવ્યું કે, સ્વનિર્ભર ૫૭૪ કોલેજોમાંથી ૧૨૧ કોલેજોમાં રૂા.૫૦૦ થી લઇ રૂા.૩૯,૦૦૦ સુધીનો ફી વધારો ફી નિયમન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નિયત ફી થી વધુ ફી લેનાર સંસ્થાઓના કિસ્સામાં સંસ્થાની માન્યતા રદ થાય તેવી જોગવાઇ છે.  શિક્ષણ મંત્રીશ્રીએ ફી વધારા બાબતે સ્વનિર્ભર સંસ્થાના અગાઉના ઓડિટ એકાઉન્ટ, ફુગાવાનો દર, અધ્યાપકો અને કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો તેમજ શૈક્ષણિક સવલતોના વિકાસ અને જાળવણીના ખર્ચને ધ્યાનમાં રાખી આપવામાં આવે છે.

સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા અભ્યાસક્રમમાં તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી ભરવા આર્થિક સહાય મળે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી યુવા સ્વાવલંબન યોજના દ્વારા સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ રૂા.૧૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમાંથી રૂા.૩૦૦ કરોડની સહાય જરૂરતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને કરવામાં આવી છે.