રાજ્યમાંથી 10,000 ખેડૂતો દિલ્હી કૂચ કરશે

અમદાવાદઃ ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેતાઓએ બુધવારે દિલ્હી બોર્ડર પાસે બેઠક કરી હતી. આ બેઠકમાં તાલુકા સ્તરેથી ખેડૂતોને એકત્ર કરીને દિલ્હી પહોંચડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી આગામી 15 દિવસમાં 10,000 ખેડૂતો દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે, એમ કિસાન સંઘર્ષ સમિતિનાં સૂત્રોનું કહેવું છે. બીજી બાજુ, રાજ્ય સરકારે પણ ખેડૂતો આંદોલનમાં જોડાય નહીં એટલે પ્રધાનોને કામે લગાડ્યા છે.

રાજ્યના ખેડૂતોને કૃષિલક્ષી ત્રણ બિલના વિરોધમાં આંદોલનમાં જોડવાનું ઝુંબેશ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ હાથ ધર્યું છે. તાલુકા સ્તરેથી ગામડાઓનું સંકલન કરીને ખેડૂતોને દિલ્હી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમ સંઘર્ષ સમિતિ વતી કોંગ્રેસ કિસાન મોરચાના પાલ આંબલિયાએ જણાવ્યું હતું. પ્રથમ તબક્કે તાલુકાદીઠ ઓછામાં ઓછા 10-10 ખેડૂતોને અને બીજા તબક્કે દરેક તાલુકામાંથી 30-30 ખેડૂતોને દિલ્હી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કહ્યું હતું કે અન્ય ખેડૂત સંગઠનોના આગેવાનો 80 ખેડૂતો સાથે દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતથી દિલ્હી પહોંચેલા ખેડૂતોનો સૂર છે કે અમે ધરણાં પર બેસી ત્રણ કાળા કાયદાનો વિરોધ કરતાં રહીશું.