UNની સામાજિક જવાબદારી શૈક્ષણિક અસરની સમિતિમાં GTUને સભ્યપદ

અમદાવાદ– સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ની સામાજિક જવાબદારી અંગેની બૌદ્ધિક શૈક્ષણિક અસરોની સમિતિમાં ગુજરાત ટેકનોલોજfકલ યુનિવર્સિટી (જીટીયુ)ને સભ્યપદ હાંસલ થયું છે.યુનોના સંદેશાવ્યવહાર તથા જાહેર માહિતી વિભાગના નાયબ મહામંત્રી ક્રિસ્ટીના ગેલેચ તરફથી જીટીયુને પાઠવવામાં આવેલા સભ્યપદના પ્રમાણપત્રમાં દસ સિદ્ધાંતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં
(1) સંયુક્ત રાષ્ટ્રસંઘના ચાર્ટરના અમલનો દૃઢ નિર્ધાર
(2) માનવ અધિકારોનું જતન
(3) તમામને એકસરખી શૈક્ષણિક તકો મળે
(4) રસ ધરાવતી દરેક વ્યક્તિને ઉચ્ચ શિક્ષણની તકો પ્રદાન કરવી
(5) ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થામાં ક્ષમતાના ઘડતર માટે પગલાં લેવા
(6) વૈશ્વિક નાગરિકત્વ
(7) શાંતિ અને સંઘર્ષ નિવારણ
(8) ગરીબી નિર્મુલન
(9) અવિરત વિકાસ
(10) અસહિષ્ણુતા દૂર કરવી

આ સભ્યપદ મળવા અંગે પ્રતિક્રિયા આપતા જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે ખુશી વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે આ સભ્યપદ મળવાથી સામાજિક ક્ષેત્રમાં કામગીરી બજાવી રહેલા અને ખાસ કરીને ઈનોવેટીવ પ્રોજેક્ટો વડે સમાજની વિવિધ સમસ્યાઓ હલ કરવા પ્રયત્નશીલ વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને પ્રોત્સાહન મળશે.
હાલમાં જીટીયુ નીચેના સામાજિક ક્ષેત્રોમાં કાર્યરત છેઃ

વિશ્વકર્મા યોજનાઃ વર્ષ 2014-15માં એન્જીનિયરીંગની 18 ડિગ્રી કૉલેજો અને 15 ડિપ્લોમા કૉલેજોના 455 વિદ્યાર્થીઓ તથા 33 પ્રાધ્યાપકોએ 242 ગામોમાં કામગીરી બજાવીને ત્યાં ચાલતા સિવીલ કામોની ગુણવત્તાનો અહેવાલ આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 2015-16માં 37 ડિગ્રી કૉલેજો અને 22 ડિપ્લોમા કૉલેજોના 862 વિદ્યાર્થીઓ તથા 74 પ્રાધ્યાપકોએ 238 ગામોમાં કામગીરી બજાવીને ત્યાં ચાલતા સિવીલ કામોની ગુણવત્તાનો અહેવાલ આપ્યો હતો.

સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લા પંચાયતને મદદઃ વર્ષ 2015માં 36 કલાકની હેકાથોન યોજીને જીટીયુની ટીમોએ સાબરકાંઠા તથા અમદાવાદ જીલ્લા પંચાયતની સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ બને એવા 11 પ્રોજેક્ટો વિકસાવ્યા હતા. બંને જિલ્લાના તત્કાલીન ડીડીઓ – એમ.નાગરાજન અને ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા તે કાર્યક્રમને કોડ ફોર ગુજરાત નામ આપવામાં આવ્યું હતું.

સામાજિક સમસ્યાઓ હલ કરવા હેકાથોનઃ વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના યજમાનપદે 10થી 12 માર્ચ, 2016 દરમિયાન યોજાયેલા સેન્ટ્રલ ટેકફેસ્ટમાં સામાજિક સમસ્યાઓ હલ કરવા 36 કલાકની હેકાથોન યોજવામાં આવી હતી.

આદર્શ ગામો વિશે રીસર્ચ પ્રોજેક્ટઃ જીટીયુ તરફથી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આદર્શ ગામો માટેના સંશોધન પ્રોજેક્ટ વર્ષ 2016-17માં હાથ ધરવામાં આવનાર છે.

એનએસએસઃ એનએસએસની પ્રવૃત્તિઓ અંતર્ગત 24 હજાર વિદ્યાર્થીઓએ ગામડાઓની સાત દિવસ મુલાકાત લીધી અને ત્યાં શાળા કેળવણી અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજના 370 વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનાપાંચ ગામોમાં શ્રમદાન કરી શૌચાલયોનું નિર્માણ કરી રહ્યા છે.

આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ  મહેસાણા જિલ્લાના ગ્રામવિસ્તારોની શાળાઓ માટે માટે જીટીયુના વિદ્યાર્થીઓએ વેબસાઈટો વિકસાવી છે.