VVPAT ડેમોઃ ગુજરાતના 50,128 ચૂંટણીમથકમાં સૌપ્રથમ ઉપયોગ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વખતે રાજ્યના તમામ ૫૦,૧૨૮ મતદાન મથકો પર વૉટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (VVPAT) સિસ્‍ટમ મશીન દ્વારા મતદાન કરાશે. VVPAT સિસ્‍ટમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરનાર ગુજરાત ભારતનું સૌપ્રથમ મોટું રાજ્ય હશે. ગુજરાતના મુખ્‍ય નિર્વાચન અધિકારી અને અગ્ર સચિવ બી.બી. સ્‍વૈનએ આજે ગાંધીનગરમાં ઇલેકટ્રોનિક વૉટીંગ મશીન-ઇવીએમ અને સાથે જોડાયેલા VVPAT મશીનનું પ્રચાર માધ્‍યમો સમક્ષ નિદર્શન કરાયું હતું.

વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યના તમામ મતદાન મથકો પર સૌ પ્રથમ વખત VVPAT સિસ્‍ટમ દ્વારા મતદાન યોજાશે. આ માટે ભારતના પાંચ રાજ્યો અને ભારત સરકારની બે કંપનીઓ, ભેલ અને એસિલ પાસેથી ૭૦,૧૮૨ જેટલા VVPAT મશીનો ગુજરાત આવી રહ્યા છે. VVPAT સિસ્‍ટમના ઉપયોગથી પ્રત્‍યેક મત રજિસ્‍ટર્ડ થતાં ૭ સેકન્ડ જેટલો સમય થાય છે. આ કારણે મતદાનની સમયાવધિમાં પણ વધારો કરવા માટે ભારતના ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આખરી થયેલી મતદાર યાદી મુજબ મતદારોની સંખ્‍યા ૪ કરોડ, ૩૩ લાખ નોંધાઇ છે.  મતદારોની સંખ્‍યા વધતાં મતદાનમથકોમાં પણ ૪૫૦૦ નો વધારો કરવામાં આવ્‍યો છે, એટલું જ નહીં દરેક મતદાન મથકોમાં મતદારો સમયસર તકલીફ વિના મતદાન કરી શકે તે હેતુથી ગ્રામ્ય વિસ્‍તારોમાં પ્રત્‍યેક મતદાનમથક દીઠ ૧૨૦૦ મતદારો અને શહેરી વિસ્‍તારોમાં પ્રત્‍યેક મતદાનમથક દીઠ ૧૪૦૦ મતદારોની મહત્તમ સંખ્‍યા નિશ્ચિત કરવામાં આવી છે. આ માટે પુરતો સરવે કરીને મતદાતાઓની ૧૨૦૦ થી વધુ સંખ્‍યા ન હોય, મતદાનમથક બે કિલોમીટરથી વધુ અંતરે ન હોય અને વચ્‍ચે નદીનાળાં ન આવતા હોય એ રીતે મતદાનમથકોની સંખ્‍યા વધારવામાં આવી છે.

સ્‍વૈને જણાવ્‍યું હતું કે, ઇવીએમ મશીનમાં વૉટ આપ્‍યા પછી મતદાર VVPAT મશીનમાં પોતાનો મત કોને ગયો છે તેની ચોકસાઇ નિહાળી શકશે. VVPAT સિસ્‍ટમ મશીનમાં રજીસ્‍ટર થયેલા મતની પ્રિન્‍ટ નિકળશે જે સિસ્‍ટમમાં જ રહેશે. મતગણતરી વખતે બેલેટ કંટ્રોલ યુનિટથી જ મતગણતરી  થશે, પરન્‍તુ મતગણતરી વખતે કોઇ અનિયમિતતા દેખાય કે પ્રશ્ન ઉભો થાય તો તે વખતે VVPAT મશીનની પ્રિન્ટેડ સ્‍લીપની ગણતરી આખરી ગણાશે.

VVPAT સિસ્‍ટમના નિદર્શન અને સંપૂર્ણ જાણકારી માટે ચૂંટણી પંચ દ્વારા ઝુંબેશ હાથ ધરાશે.  તમામ રાજકીય પક્ષો, પ્રચાર માધ્‍યમો અને પ્રત્‍યેક મતદાર સુધી VVPAT ની વિગતો અને નિદર્શન પહોંચે એવા પ્રયત્‍નો કરાશે. આ માટે એક ‘જાગૃતિ વાન’ પણ તૈયાર કરાશે, જેમાં મોક મતદાન મથક બનાવાશે. આ વાન શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચે એ માટે પ્રયત્‍નો કરાશે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ૧૦ લાખથી વધુ યુવા મતદારો એવા નોંધાયા છે, જે સૌ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આવા યુવાન મતદારો સુધી VVPAT ની જાણકારી પહોંચે એવો પ્રયત્‍ન કરાશે.